બજેટ 2018 પહેલાની હલવા સેરેમની અને રસપ્રદ તથ્યો
યુનિયન બજેટ પહેલાં નાણાં મંત્રી અરુણ જેટલીએ બનાવ્યો હલવોબજેટ પહેલાની આ હલવા સેરેમની અંગે વિગતવાર જાણોઆ અંગે વધુ વાંચો અહીં...
દેશનું બજેટ રજૂ થાય એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે, 1 ફેબ્રૂઆરીના રોજ બજેટ રજૂ થનાર છે. પહેલીવાર 1 ફેબ્રૂઆરીના રોજ બજેટ રજૂ થશે. વર્ષ 2018નું બજેટ ઘણી રીતે ખાસ છે. જીએસટીને કારણે આ વખતનું બજેટનું કામ ખાસું હળવું છે, વસ્તુ અને સેવા કર અંગે જીએસટી કાઉન્સિલ નિર્ણય લેશે. બજેટ પહેલાં નાણાં મંત્રી અરુણ જેટલી અને તેમની ટીમો કેટલાક ખાસ કામો કરે છે. બજેટ સાથે જોડાયેલ કેટલાક તથ્યો અને રસપ્રદ વાતો પર એક નજર નાંખીએ.
શનિવારે યોજાઇ હતી હલવા સેરેમની
નાણાં મંત્રી અરુણ જેટલીએ બજેટ તૈયાર કરતાં પહેલાં શનિવારે હલવા સેરેમનીમાં ભાગ લીધો હતો અને અધિકૃત રીતે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાનો શુભારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બજેટની આવૃત્તિઓ છાપતા પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત નાણાં મંત્રી પોતે સાંકેતિક રીતે હલવો બનાવીને કરે છે. આ સેરેમની પછી જ બજેટની આવૃત્તિઓ છપાવાની શરૂઆત થાય છે. આ કાર્યક્રમમાં નાણાં વિભાગના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હલવો આપવામાં આવે છે.
બજેટ રજૂ થાય ત્યાં સુધી ઓફિસમાં જ રહેશે
આ કાર્યક્રમ બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ, જેઓ બજેટની આવૃત્તિઓના છાપકામમાં ભાગ લેવાના હોય તેઓ ઉત્તર બ્લોક યૂનિટમાં રહે છે અને નાણાં મંત્રીનું બજેટ ભાષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી બહાર નથી નીકળતા. આથી હવે શનિવારે જે લોકો બજેટના પ્રિંટ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, તેઓ હવે એ જ દિવસે બહાર નીકળશે જ્યારે બજેટ રજૂ થશે. લગભગ 100 કર્મચારીઓ બજેટ છાપવાની પ્રક્રિયામાં રોકાયેલા હોય છે.
પરિવારના સંપર્કમાં નથી રહેતા કર્મચારીઓ
ઉલ્લેખનીય છે કે, વાર્ષિક બજેટને ડિવિઝન ઓફ ઇકોનોમિક અફેર તૈયાર કરે છે અને તેની અધ્યક્ષતા નાણાં વિભાગના મુખ્ય સચિવ કરે છે. આ વિભાગ દર વર્ષે એક વાર્ષિક સર્ક્યુલર જાહેર કરે છે. આ તમામ પ્રક્રિયા અને દસ્તાવેજની ગોપનીયતા જાળવી રાખવા માટે આ કામ સાથે જોડાયેલા તમામ લોકો નોર્થ બ્લોકમાં જ રહે છે. જ્યાં સુધી આ દસ્તાવેજ છપાઇ ન જાય અને નાણાં મંત્રીનું બજેટ ભાષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ બહાર નથી નીકળતા. તેઓ પોતાના સગા-સંબંધીઓ, મિત્રોથી સંપૂર્ણ રીતે ડિસકનેક્ટ થઇ જાય છે અને તેઓ તેમને સંપર્ક પણ કરી શકતા નથી. તેમને ફોન પર વાત કરવાની પણ પરવાનગી નથી હોતી, તેમના ફોન લઇ લેવામાં આવે છે.
માત્ર સીનિયર અધિકારીઓ ઘરે જઇ શકે
આ સમય દરમિયાન પત્રકારોને પણ નાણાં મંત્રાલયમાં જવાની પરવાનગી નથી હોતી. કોઇ મહત્વપૂર્ણ જાહેરાત કરવાની હોય ત્યારે જ પત્રકારને પ્રવેશ મળે છે. 1 ફેબ્રૂઆરી, 2018ના રોજ સંસદમાં બજેટ રજૂ થશે. દેશનું પહેલું બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ આર.કે.ષણમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું. બજેટ રજૂ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા સાથે જોડાયેલા કર્મચારીઓ તથા અધિકારીઓને પોતાના કોઇ ઓળખીતાને મળવાની કે ફોન, ઇમેઇલ કે અન્ય કોઇ માધ્યમથી સંપર્ક કરવાની છૂટ નથી હોતી. નાણાં વિભાગના સીનિયર અધિકારીઓને જ ઘર જવાની છૂટ હોય છે.