8 લાખ કમાનારા ગરીબ તો 2.5 લાખ પર ટેક્સ કેમ? જાણો સરકારે શું જવાબ આપ્યો?
રાજ્યસભામાં ઈન્કમટેક્સને લઈને સવાલ કરાયો હતો કે, સરકાર 8 લાખ રૂપિયા કમાતા વ્યક્તિને ગરીબ માને છે તો 2.50 લાખ રૂપિયા કમાતા લોકોને ટેક્સ ભરવાનું કેમ કહેવામાં આવે છે?
નવી દિલ્હી : સરકારી કાયદોમાં ઘણી વિસંગતતાઓ જોવા મળે છે. આવી વિસંગતતાઓને લઈને સવાલો પણ ઉઠતા આવ્યા છે ત્યારે હવે વધુ એક સવાલ ઉઠી રગ્યો છે. કેન્દ્ર સરકારે જનરલ અને ઓબીસી ક્વોટામાં નોકરી માટે 8 લાખની મર્યાદા નક્કી કરેલી છે. ક્રીમીલેયર માટેની આ મર્યાદા 8 લાખની છે એટલે કે 8 લાખ કમાતા લોકો ગરીબ કેટેગરીમાં માનવામાં આવે છે. જો કે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે 8 લાખની આવક ધરાવનારા ગરીબ તો 2.5 લાખ રૂપિયા પર ટેક્સ કેમ? આ મુદ્દો સંસદમાં ગુજ્યો હતો અને સરકારે જવાબ પણ આપ્યો છે.
આ બાબતે સંસદમાં સવાલ કરાતા સરકારનો જવાબ આવ્યો છે. રાજ્યસભા સાંસદ પી ભટ્ટાચાર્યએ વિત્તમંત્રીને આ બાબતે સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર 8 લાખ રૂપિયા કમાતા વ્યક્તિને ગરીબ માને છે તો 2.50 લાખ રૂપિયા કમાતા લોકોને ટેક્સ ભરવાનું કેમ કહેવામાં આવે છે?
સવાલનો જવાબ આપતા કેન્દ્ર સરકારના વિત્ત રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતનો લાભ લેવા સરકારે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા નક્કી કરી છે. 8 લાખ રૂપિયાની આ મર્યાદા તમામ સ્ત્રોતોમાંથી પરિવારના તમામ સભ્યોની વાર્ષિક આવકનો સમાવેશ કરીને નક્કી થાય છે. જ્યારે આવકવેરા કાયદા હેઠળ એક વ્યક્તિની આવક પર 2.50 લાખની મૂળભૂત આવકવેરા મુક્તિ મર્યાદા લાગુ પડે છે. તેમણે કહ્યું કે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોની કુલ આવકમાં કૃષિમાંથી થતી આવકનો પણ સમાવેશ થાય છે. જ્યારે આવકવેરા કાયદામાં કૃષિ આવક પર કર મુક્તિ છે.
અહીં રાજ્યમંત્રીએ કહ્યું કે, ફાઇનાન્સ એક્ટ 2019માં આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ 5 લાખ રૂપિયા સુધીની આવક પર 100 ટકા ટેક્સ મુક્તિ છે. એટલે કે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. તેમણે કહ્યું કે, જેની આવક 5 લાખથી વધુ છે તે આવકવેરા કાયદા હેઠળ ઉપલબ્ધ પ્રોત્સાહનો અને કપાતનો લાભ લઈ શકે છે, જેથી તેઓ ટેક્સનો બોજ ઘટાડી શકે.
આ સિવાય વધુમાં પંકજ ચૌધરીએ જણાવ્યુ કે, 8 લાખ સુધીની કમાણી કરનાર વ્યક્તિ આવકવેરા કાયદા હેઠળ વિવિધ છૂટ લઈને ટેક્સ બોજને ઘટાડી શકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આવક પર આવકવેરા મુક્તિની મર્યાદા અને આર્થિક રીતે નબળા લોકોને નક્કી કરવા માટે નક્કી કરવામાં આવેલી આવક મર્યાદાની તુલના કરવી યોગ્ય નથી. બંને નક્કી કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે અલગ છે.