નરેન્દ્ર મોદી માટે કેમ મહત્વપૂર્ણ છે આ ચૂંટણી?
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આખા દેશની નજર ટકેલી છે. બંને રાજ્યોના 10 કરોડ મતદારો મોદી મેજીકની દશા અને દિશા નક્કી કરશે. પરિણામ નક્કી કરશે કે મોદી અને અમિત શાહ આગળ પણ 'એકલા ચલો રે'ની તર્જ પર ચાલશે કે પછી ગઠબંધનના સાથીઓની શોધ કરતાં જોવા મળશે. શિવસેના માટે સાખ બચાવવાનો પડકાર છે તો કોંગ્રેસ બંને રાજ્યોમાં સત્તાની સાથે-સાથે પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.
લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા દાવ પર છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ એકલું ચૂંટણી લડી રહ્યું છે. હરિયાણામાં એચજેસી સાથે ગઠબંધન તૂટ્યું છે તો મહરાષ્ટ્રમાં પચ્ચીસ વર્ષ જુનૂં શિવસેના સાથે ગઠબંધન તુટી ચૂક્યું છે.
નરેન્દ્ર મોદીએ બંને રાજ્યોમાં તાબડતોડ 37 રેલીઓ કરીને માહોલ બનાવવાનો પુરતો પ્રયત્ન પણ કર્યો છે પરંતુ બધા ચૂંટણી સર્વેનો નિચોડ બતાવી રહ્યો છે કે બંને જ રાજ્યોમાં ભાજપ નંબર વન તો રહેશે પરંતુ બહુમતથી થોડી દૂર રહી જશે. જો આમ થાય તો એકલા ચૂંટણી લડવાની મોદી-અમિત શાહની રણનિતી પર સવાલ ઉઠશે.
ભાજપને જુના સાથીઓ સાથે ફરી સમજૂતી કરવા માટે મજબૂર થવું પડશે, પરંતુ બંને રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સત્તામાં પરત ફરશે તો મોદી-અમિત શાહને ભાજપ-સંઘમાં કોઇ રોકવા ટોકવા વાળું રહેશે નહી અને કોંગ્રેસ મુક્ત ભારત તરફ ભાજપ બે પગલાં ભરી લેશે. શિવસેનાથી પીછો છોડાવ્યા બાદ ભાજપ પંજાબમાં અકાળી દળ સાથે પણ છેડો ફાડવાનું વિચારી શકે છે જેણે હરિયાણામાં ભાજપની દુશ્મન ચૌટાલાની પાર્ટીનો સાથ આપ્યો છે.
બાળા સાહેબ ઠાકરેના નિધન બાદ પ્રથમ ચૂંટણી લડી રહેલા શિવસેનાની મદદ વિના જો ભાજપ સરકાર બનાવવામાં સફળ થઇ ગઇ તો તેને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ઝુકવું પડશે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પર એક થવાનું દબાણ વધશે પરંતુ શિવસેના બહુમત પ્રાપ્ત કરી લે છે તો ઉદ્ધવ ઠાકરે અને શિવસેના માટે સંજીવની સાબિત થશે.
કોંગ્રેસ જો બંને રાજ્યોમાં હારી ગઇ તો પાર્ટીની અંદર હતાશા વધશે. ભલે આ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ મોટી ભૂમિકા ભજવી નથી પરંતુ હારની જવાબદારી તેમણે પોતાના માથે લેવી પડશે અને પાર્ટીની અંદર તેમની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠશે. પ્રિયંકાને પાર્ટીમાં લાવવાની માંગ ફરીથી વધી શકે છે. ઝારખંડ અને જમ્મૂ-કાશ્મીરમાં ત્યારબાદ ચૂંટણી થવાની છે. બંને જ રાજ્યોમાં સરકાર બચાવવાનો પડકાર રહેશે.