UP નિવાસી કેજરીવાલને દિલ્હીનું મતદાર કાર્ડ શા માટે?
દિલ્હી, 15 જાન્યુઆરી : દિલ્હીની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલની મુસીબતો પણ વધી રહી છે. વિવાદોમાં ઘેરાયેલા અરવિંદ કેજરીવાલ સામે હવે કોઇ રાજકીય પક્ષ નહીં પણ એક એનજીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ એનજીઓએ ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના રહેવાસી નથી, આ કારણે તેમને દિલ્હીનું વોટર કાર્ડ આપવામાં ના આવે.
આ એનજીઓનું નામ મૌલિક ભારત મિશન છે. તેણે ચીફ ઇલેક્શન કમિશનરને પત્ર લખીને અરજી કરી છે કે કેજરીવાલને બી કે દત્ત કોલોનીમાંથી વોટર આઇડી કાર્ડ આપવામાં ના આવે.
નોંધનીય છે કે 13 જાન્યુઆરી, 2015ના રોજ ચીફ ઇલેક્શન કમિશનરને લખેલા પત્રમાં એનજીઓએ એ અરજીને પડકારી છે, જેમાં કેજરીવાલે પોતાનું એડ્રેસ તિલક માર્ગથી બદલીને બી કે દત્ત કોલોની કરવાની માંગ કરી છે. નોંધનીય ચે કે કેટલાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ કેજરીવાલનું એડ્રેસ તિલક માર્ગથી બદલીને રફી માર્ગ પર વિઠ્ઠલભાઇ પટેલ હોઉસ કરવાની અરજી કરી હતી, પણ પાછળથી તે અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.
આ ઘટનાક્રમ પર દિલ્હી ભાજપના મીડિયા સંયોજક પ્રવીણ શંકર કપૂરે કેજરીવાલ પર શાબ્દિક હુમલો કરતા જણાવ્યું છે કે 'આ બેવડાં ધોરણોછે. કેજરીવાલને સુરક્ષા ગાઝિયાબાદ પોલીસ આપે છે, જ્યારે તે પોતાને દિલ્હી નિવાસી ગણાવે છે. આ કેવી રીતે સંભવ છે?'
એનજીઓના સભ્યોનું કહેવું છે કે અમે ગાઝિયાબોદ પોલીસમાં કરેલી આરટીઆઇ દ્વારા જાણ્યું છે કે કેજરીવાલ કૌશંબીના રહેવાસી છે. અમારી પાસે એવા ઘણા પુરાવાઓ છે. જેના આધારે 9 જાન્યુઆરીએ ચૂંટણી પંચે કેજરીવાલની અરજી નકારી હતી. આ અરજી પણ નકારી દેશે.