યુપીમાં માથુ ઉચકતો ઝિકા વાયરસ, કુલ કેસ 140 ને પાર પહોંચ્યા!
ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસનો કહેર વધી રહ્યો છે. કાનપુરના એરફોર્સના એક કર્મચારીમાં ઝિકા વાયરસની પુષ્ટિ થયા બાદ હવે ચેપ ચાર જિલ્લામાં ફેલાયો છે.
લખનઉ, 18 નવેમ્બર : ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસનો કહેર વધી રહ્યો છે. કાનપુરના એરફોર્સના એક કર્મચારીમાં ઝિકા વાયરસની પુષ્ટિ થયા બાદ હવે ચેપ ચાર જિલ્લામાં ફેલાયો છે. કાનપુરમાં સૌથી વધુ 133 લોકો ઝિકા વાયરસથી સંક્રમિત છે. બીજી તરફ બુધવારે રાજધાની લખનઉમાં વધુ બે નવા સંક્રમિતો સાથે હવે દર્દીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. આ ઉપરાંત કન્નૌજ અને ઉન્નાવમાં પણ એક-એક દર્દી મળી આવ્યા છે. હવે યુપીમાં ઝિકા સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે.
લખનઉના આલમબાગ અને એલડીએ કોલોનીમાં રહેતા એક-એક દર્દીમાં ડેન્ગ્યુ જેવા લક્ષણો દેખાતા હતા, જ્યારે બંનેની તપાસ કરવામાં આવી ત્યારે ઝિકા વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી. જે બાદ આરોગ્ય વિભાગે આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે અને સંપર્કમાં આવેલા પરિવારના અન્ય સભ્યોની તપાસ માટે સેમ્પલ લીધા છે. આ સાથે આ વિસ્તારમાં એન્ટિ-લાર્વા ફોગિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, ઝીકા વાયરસની શરૂઆત ઉત્તર પ્રદેશમાં કાનપુરથી થઈ હતી. લગભગ એક મહિના પહેલા એરફોર્સના કર્મચારીને ઝિકા વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ આરોગ્ય વિભાગ ચેપને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 6 કિલોમીટરથી વધુ વિસ્તારને કન્ટેનમેન્ટ બનાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ એન્ટી લાર્વા ફોગીંગથી લઈને તમામ પ્રકારની તકેદારી લઈ રહ્યું છે. લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. લખનૌમાં ડીએમ અભિષેક પ્રકાશે કોરોનાની તર્જ પર ઝિકાને રોકવા માટે સૂચના આપી છે. ડીએમએ કહ્યું છે કે જે વિસ્તારોમાંથી દર્દીઓ આવ્યા છે તેને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવીને તપાસ કરવામાં આવે.