કાનપુરમાં ઝીકા વાયરસનો આતંક, શહેરના ચકેરી વિસ્તારમાં 79 કેસ નોંધાયા!
ઉત્તર પ્રદેશના કાનપુરના ચકેરી વિસ્તારમાં 23 ઓક્ટોબરે ઝિકા વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ભારતીય વાયુસેનાના અધિકારીને ચેપ લાગ્યો હતો. ચકેરી વિસ્તારમાં મચ્છરો દ્વારા ફેલાતો ઝિકા વાયરસ ફેલાઈ ગયો છે.
કાનપુર, 6 નવેમ્બર : ઉત્તર પ્રદેશના કાનપુરના ચકેરી વિસ્તારમાં 23 ઓક્ટોબરે ઝિકા વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ભારતીય વાયુસેનાના અધિકારીને ચેપ લાગ્યો હતો. ચકેરી વિસ્તારમાં મચ્છરો દ્વારા ફેલાતો ઝિકા વાયરસ ફેલાઈ ગયો છે. આરોગ્ય વિભાગ ચકેરીની આસપાસના વિસ્તારમાં લોકોની તપાસ કરી રહ્યું છે. શનિવારે ઝિકા વાયરસથી સંક્રમિત 13 દર્દીઓ મળી આવ્યા હતા. કાનપુરમાં અત્યાર સુધીમાં 79 દર્દીઓ આ બીમારીથી પીડિત જોવા મળ્યા છે. આ સંક્રમિતોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગ સઘન બનાવ્યું છે અને વધુને વધુ લોકોના સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે.
ઝીકા વાયરસ અંગે અપડેટ આપતા કાનપુરના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. નેપાલ સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જિલ્લામાં ઝિકા વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 79 થઈ ગઈ છે. જ્યાં પહેલો દર્દી મળ્યો હતો તેના 400 મીટરમાં અંદર અત્યાર સુધીમાં તમામ લોકો સંક્રમિતો મળી આવ્યા છે. ડૉક્ટર નેપાલ સિંહે કહ્યું કે અન્ય સંક્રમિત લોકોને ટ્રેસ કરવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમ બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે 79 દર્દીઓમાંથી કોઈની હાલત ગંભીર નથી પરંતુ ડોકટરો તેમના પર નજર રાખી રહ્યા છે.
કાનપુર પ્રશાસન પણ ઝિકા વાયરસના ફેલાવાને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ચકેરી વિસ્તારના હરજેન્દર નગર, એરફોર્સ કોમ્પ્લેક્સ, પોખરપુર, લાલકુર્તી, મોતીનગર, અશરફાબાદ અને આદર્શનગર સહિત કેટલાક અન્ય વિસ્તારોમાં ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. પ્રથમ વાયરસનો કેસ એરફોર્સ સેન્ટરમાં જોવા મળ્યો હતો, જેની આસપાસના વિસ્તારોમાંથી લોકોના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે. ડીએમ વિશાખ જી અય્યરે આ વિશે જણાવ્યું કે, આરોગ્ય વિભાગના અધિકારીઓને ઘરે-ઘરે જઈને સેમ્પલ લેવા સૂચના આપવામાં આવી છે.
ડીએમ વિશાખ જી અય્યરે કહ્યું કે, મચ્છરોનો નાશ કરવા અભિયાન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથેની બેઠકમાં ઝીકા વાયરસ અને ડેન્ગ્યુને કાબૂમાં લેવા માટે સૂચનાઓ આપી છે. તેમણે કહ્યું કે દરેક દર્દીના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવે, તેમજ ચેપગ્રસ્ત દર્દીઓની વહેલાસર તપાસ અને સારવાર સર્વેલન્સ દ્વારા થાય. મુખ્યમંત્રીએ સ્વચ્છતા, સેનિટાઈઝેશન અને ફોગિંગની કામગીરી ચાલુ રાખવા સૂચના પણ આપી છે.