પતિએ છોડી દેતા પત્નીએ 3 સંતાનો સાથે કૂવામાં પડતુ મૂક્યુ, ત્રણે બાળકોના મોત
ધ્રોલના ખંભાળીયા ગામે 25 વર્ષની યુવતીને તેનો પતિ છોડીને મધ્ય પ્રદેશ તેના વતનમાં જતો રહ્યો અને પાછો ન આવતા તેણે તેના 3 સંતાનો સાથે કૂવામાં પડતુ મૂક્યુ.
જામનગરઃ ધ્રોલના ખંભાળીયા ગામે 25 વર્ષની યુવતીને તેનો પતિ છોડીને મધ્ય પ્રદેશ તેના વતનમાં જતો રહ્યો અને પાછો ન આવતા તેણે તેના 3 સંતાનો સાથે કૂવામાં પડતુ મૂક્યુ. બુધવારે સવારે આ શ્રમિક મહિલાએ એકથી ચાર વર્ષના ત્રણ માસુમ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા ત્રણે બાળકો મોતને ભેટ્યા હતા જ્યારે માતાનો બચાવ થયો છે. પોલિસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો અને બચી ગયેલી માતા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
પોલિસના જણાવ્યા મુજબ શ્રમિક મહિલા મસૂડી ભૂરિયા મધ્ય પ્રદેશની વતની છે અને થોડા સમય પહેલા સાસરિયા સાથે ખંભાળીયા ગામમાં ખેતમજૂરી કરવા માટે આવ્યા હતા. તેનો પતિ નરેશ ત્રણ મહિના પહેલા તેને છોડીને મધ્ય પ્રદેશમાં તેના વતન જતો રહ્યો. મસૂડીએ ઘણી વાર તેના પતિને ફોન કર્યા પરંતુ તે કોઈ જવાબ આપતો નહોતો. નરેશે મસૂડી સાથે પાંચ વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા અને તેમને 3 સંતાન હતા. મસૂડીએ બુધવારે સવારે તેના ત્રણ સંતાન રીયા(4 વર્ષ), માધુરી(2.5 વર્ષ) અને કનેશ(8 મહિના)ને કૂવામાં નાખી દઈને પોતે પણ ઝંપલાવ્યુ.
મસૂડીના સસરા સેનીયા ભૂરિયાએ આ ઘટના જોઈ અને ગામ લોકોને આ વિશે જણાવ્યુ. સ્થાનિક લોકોએ જામનગર ફાયર બ્રિગેડને બોલાવ્યા જે બાદ ત્રણે બાળકોને બહાર કાઢવામાં આવ્યા પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હતા. પૂછપરછ દરમિયાન મહિલાએ પોલિસને જણાવ્યુ કે, 'તે તેના પતિની રાહ જોઈને કંટાળી ગઈ હતી અને પછી તેણે સંતાનો સાથે મોતને ભેટવાનો નિર્ણય કર્યો.' પોલિસે ત્રણ બાળકોની હત્યાના ગુનામાં મહિલા સામે કેસ નોંધ્યો છે.