જામનગરના પહેલા ઓમિક્રોન પોઝિટિવના ઘરે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનો ખુલાસો
જામનગરના પહેલા ઓમિક્રોન પોઝિટિવના ઘરે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનો ખુલાસો
કોરોનાવાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈ લોકોમાં ફરી ત્રીજું લોકડાઉન લાગવાનો ભય સતાવી રહ્યો છે, તેવામાં જામનગરમાં પહેલો કેસ નોંધાતાં જ જામનગરવાસીઓની ચિંતામાં પણ વધારો થયો હતો, પરંતુ જામનગરમાં આવેલો ઓમિક્રોનનો પહેલો કેસ ક્યાંક વધુ વિસ્ફોટક સાબિત ના થાય તેનો પણ ભય સતાવવા લાગ્યો છે, કેમ કે હાલમાં જ ખુલાસો થયો કે જામનગરમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો તેમના ઘરે ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા.
ત્યારે જામનગરમાં સંક્રમિત પરિજનોની બેદરકારી ટ્યુશનમાં આવતા બાળકો પર ભારે પડી શકે છે. ત્યારે તંત્રએ એક્શનમાં આવી ટ્યુશનમાં જતા બધા જ બાળકોના કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે.
જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાથી નવેમ્બર મહિનામાં જામનગર આવેલા વૃદ્ધ વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત મળી આવતાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે. ઓમિક્રોન સંક્રમિતના ઘરમાં મહિલા ટ્યુશન ચલાવતી હતી. મળતી માહિતી પ્રમાણે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટરે કમિશ્નર અને આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. જે બાદ આરોગ્ય વિભાગે સંક્રમિતના ઘરે ટ્યુશનમાં જતાં 7 બાળકોને શોધી કાઢ્યાં છે. સાથે જ તંત્રએ બાળકોને સ્કૂલે ન જવાની પણ જાણ કરી છે.
મળેલી માહિતી મુજબ દક્ષિણ આફ્રિકાથી આવેલા આ વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યાના બે દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ ચાલતા રહ્યા હતા. બાદમાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબ ખફીએ તંત્રને જાણ કર્યા બાદ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવ્યા હતા.
ધીરે ધીરે ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન પોઝિટિવની કુલ 10 કેસની પુષ્ટિ થઈ છે. અગાઉ રવિવારે ઓમિક્રોન વેરિયન્ટના કુલ 17 મામલા મળ્યા હતા. જેમાંથી 9 મામલા રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી, 7 મામલા પુણેમાંથી અને એક 37 વર્ષીય વ્યક્તિ દિલ્હીથી સંક્રમિત મળી આવ્યો હતો. ભારતમાં ઓમિક્રોનના મામલાની સંખ્યા 23 થઈ ગઈ છે.
નોંધનીય છે કે અત્યાર સુધી જેટલા પણ લોકો ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા છે તેઓ કાં તો આફ્રિકન દેશોમાંથી ભારત આવ્યા છે અથવા તો આફ્રિકન દેશોમાંથી ભારત આવ્યા હોય તેવા લોકોના સંપર્કમાં આવ્યા છે. જયપુરમાં રવિવારે જે 9 લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યાં હતાં, તેમાંથી 4 એક જ પરિવારના હતા જેઓ હાલમાં જ સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા હતા.