અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ - રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય રાજધાનીની 'સદૈવ અટલ' સમાધિમાં પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
નવી દિલ્હી : અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ (16 ઓગસ્ટ, 2021) રાષ્ટ્રીય રાજધાનીની 'સદૈવ અટલ' સમાધિમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે તેમની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય નેતાઓ પણ 'સદૈવ અટલ' સ્મારક પર હાજર રહ્યા હતા.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય કેટલાક ભાજપના નેતાઓએ પણ સોમવારના રોજ 'સદૈવ અટલ' સમાધિમાં અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અટલ બિહારી વાજપેયી દેશના અગ્રણી નેતાઓમાંના એક અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સ્થાપક સભ્ય ગણાય છે. ભૂતપૂર્વ વડાપ્રધાનનું 16 ઓગસ્ટ, 2018ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તે સમયે વાજપેયી 93 વર્ષના હતા.
અટલ બિહારી વાજપેયીએ ત્રણ વખત વડાપ્રધાન તરીકે સેવા આપી હતી - 1996માં ટૂંકાગાળા માટે, અને પછી 1998 અને 2004 વચ્ચે બે ટર્મ માટે તેમને વડાપ્રધાન રહ્યા હતા. તેમનો જન્મદિવસ 25 ડિસેમ્બરના રોજ આવે છે, જેને સરકાર દ્વારા 'સુશાસન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયીને વર્ષ 2014માં ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન આપવામાં આવ્યું હતું.