રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન
વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું બુધવારની રાત્રે નિધન થયું હતું. ચંદન મિત્રાના પુત્ર કુશન મિત્રાએ તેના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.
નવી દિલ્હી : વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું બુધવારની રાત્રે નિધન થયું હતું. ચંદન મિત્રાના પુત્ર કુશન મિત્રાએ તેના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચંદન મિત્રા ધ પાયોનિયરના ભૂતપૂર્વ સંપાદક અને મેનેજિંગ ડિરેક્ટર હતા. વર્ષ 2003માં તેમને રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. જે બાદ ફરી એકવાર ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જે બાદ વર્ષ 2018માં ચંદન મિત્રા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.
ચંદન મિત્રાના નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, ચંદન મિત્રાજીને તેમના શાણપણ અને સમજ માટે યાદ કરવામાં આવશે. મીડિયાની સાથે સાથે તેમણે રાજનીતિની દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું, હું તેમના પરિવાર અને પ્રસંશકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ
Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) September 2, 2021
ચંદન મિત્રાના અંગત જીવનની વાત કરીએ તો તેમણે કોલકાતાની લા માર્ટિનિયર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમને સ્વપન દાસ ગુપ્તા, પ્રોનજોય ગુહા ઠાકુરતાના બેચમેટ હતા અને બાદમાં ત્રણેય દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ભણ્યા હતા. સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ચંદન મિત્રા અને શશી થરૂર ખૂબ સારા મિત્રો હતા. ચંદન મિત્રાએ ઇતિહાસમાં એમએ અને એમફિલની ડિગ્રી મેળવી છે. થોડા સમય માટે તેમણે હંસરાજ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. વર્ષ 1984માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ચંદન મિત્રાને ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.
પત્રકારત્વમાં ચંદન મિત્રાની કારકિર્દી વિશે વાત કરીએ તો તેમણે કોલકાતામાં ધ સ્ટેટ્સમેનના સહાયક સંપાદક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ તેમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને તે બાદ ધ સન્ડે ઓબ્ઝર્વરમાં કામ કર્યુ હતું, જ્યાં તેઓ સંપાદક હતા. જે બાદ તેમને હિન્દુસ્તાન ટાઇમ્સમાં એક્ઝિક્યુટિવ એડિટરની નોકરી મળી. હિન્દુસ્તાન ટાઇમ્સ છોડ્યા બાદ, ચંદન મિત્રા ધ પાયોનિયરમાં જોડાયા અને બાદમાં વર્ષ 1998માં થાપર પરિવાર પાસેથી અખબારની માલીકીના હકો ખરીદીને માલિક બન્યા હતા.