રાજકોટમાં જિલ્લામાં ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ, જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું!
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ રાજકોટ જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
રાજકોટ, ૭ ડીસેમ્બર : કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ રાજકોટ જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા અને આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોવાથી આ સમય દરમિયાન રાજકોટ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર રાજકોટ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામાં અતર્ગત રાજકોટ જિલ્લામાં ૨૪ ડિસેમ્બર સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવાયો છે.
આ જાહેરનામામાંથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે સંસ્થા, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિત, લગ્નના વરઘોડા, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિત, સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને બાકાત રાખવામાં આવ્યા છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને પગલે હવે દુનિયાભરમાં ભયનો માહોલ છે. આ માહોલ વચ્ચે હવે ગુજરાતના જામનગરમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાયો છે. આ વેરિઅન્ટની ગંભીરતાને જોતા હવે રાજકોટ જિલ્લા પ્રશાસને પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ 5 ગણી ઝડપથી ફેલાય છે અને સૌપ્રથમ આફ્રિકામાં મળ્યા બાદ હવે તે દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે રાજકોટ જિલ્લા પ્રશાસન પણ એક્શનમાં છે.