જાણો રાજકોટ એઈમ્સનું કામ કેટલે પહોંચ્યું?
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂઆતમાં વેગ પકડ્યા બાદ આગળ વધી રહ્યો છે.
રાજકોટ : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂઆતમાં વેગ પકડ્યા બાદ હવે ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ વિશ્વાસપાત્ર સુત્રોને ટાંકીને લખ્યું હતું કે, પ્રોજેક્ટ તેના ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટર વચ્ચે "ઇગો ક્લેશ" ને કારણે સંકલન સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. રાજકોટ કલેક્ટર દ્વારા આ મુદ્દે આરોગ્ય મંત્રાલયને મૌખિક રીતે જાણ કરવામાં આવી છે.

AIIMS ના ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટર વચ્ચે અહંકારની લડાઇ ચાલી રહી છે
આરોગ્ય મંત્રાલય સંભાળ્યા બાદ મનસુખ માંડવિયા વ્યક્તિગત રીતે પ્રગતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે શહેરની નજીકના પરા પીપળીયા ખાતેના સ્થળની મુલાકાત પણ લીધી હતી અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પાસેથી કામગીરી વિશે નિયમિતપણે અપડેટ્સ લે છે. AIIMS ના ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટર વચ્ચે અહંકારની લડાઇ ચાલી રહી છે, જેણે AIIMSની પ્રગતિ ધીમી કરી છે.
આ મુદ્દાઓને કારણે કામ ધીમી પડી ગયું છે
રાજકોટ કલેક્ટર કચેરીના એક વરિષ્ઠ અધિકારીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયે પ્રગતિ વિશે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનો અભિપ્રાય માંગ્યો હતો અને તે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, આ મુદ્દાઓને કારણે કામ ધીમી પડી ગયું છે.
PMO ઇચ્છતું હતું કે, આ પ્રોજેક્ટ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થાય
મંત્રાલય કાર્યને ઝડપી બનાવવા માટે વહીવટી તંત્રને વધુ સત્તાઓ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, PMO ઇચ્છતું હતું કે, આ પ્રોજેક્ટ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થાય, જેથી આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં તેને શામેલ કરી શકાય, પરંતુ સમયમર્યાદા માર્ચ 2023 સુધી લંબાવી દેવામાં આવી અને હાલમાં નવી સમયમર્યાદા ઓગસ્ટ અને ઓક્ટોબર 2023 વચ્ચે નક્કી કરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા બસ સેવા શરૂ કર્યા બાદ AIIMS એ ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં ઓપીડી શરૂ કરી દીધી છે અને દરરોજ સરેરાશ 100 દર્દીઓ આવે છે.
જ્યારે AIIMS ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. CDS કટોચનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે, સંકલનમાં થોડી સમસ્યા છે. કારણ કે, ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાને AIIMS ભોપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ IRS કેડરમાંથી ડેપ્યુટેશન પર છે. નવા ડેપ્યુટી ડાયરેક્ટર માટે ઈન્ટરવ્યુ પૂર્ણ થઈ ગયા છે અને મને આશા છે કે, નવા કાયમી ડેપ્યુટી ડાયરેક્ટરની નિમણૂક ટૂંક સમયમાં થઈ જશે.












Click it and Unblock the Notifications
