રાજકોટ ચેમ્બરની ચૂંટણી યોજાશો, 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન
સૌરાષ્ટ્રના કહેવાતા પાટનગર રાજકોટ શહેરના વેપાર અને ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વર્ષો જૂની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્તમાન હોદ્દેદારોની ૩ વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી જાહેર કરવામા આવી છે.
રાજકોટ : સૌરાષ્ટ્રના કહેવાતા પાટનગર રાજકોટ શહેરના વેપાર અને ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વર્ષો જૂની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્તમાન હોદ્દેદારોની ૩ વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી માટે 13 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.
13 ફેબ્રુઆરીના રોજ નવી કારોબારીના સભ્યો માટે ચૂંટણી યોજવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો
છેલ્લા 3 વર્ષ દરમિયાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કામગીરીની માહિતી આપવા તથા ચૂંટણીની તારીખ જાહેર કરવા માટે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રમુખ વી. પી. વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બંધારણ અનુસાર વર્તમાન હોદ્દેદારોની 3 વર્ષની ટર્મ પૂર્ણ થતી હોય કારોબારીએ 13 ફેબ્રુઆરીના રોજ નવી કારોબારીના સભ્યો માટે ચૂંટણી યોજવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વી. પી. વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચેમ્બરમાં કુલ 1802 મતદારો છે. આ ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં થાય એ માટે પૂર્વ પ્રમુખ હિતેશ બગડાઇના ચેરમેન પદ હેઠળ એક ચૂંટણી સમિતિની નિમણૂંક કરાઇ છે, જેમાં એડવોકેટ વારોતરીયા અને જાણીતા શેર બ્રોકર સુનિલભાઇ શાહનો સમાવેશ સભ્યો તરીકે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કમિટિમાં બે આમંત્રિત સભ્યોની પણ નિમણૂંક કરાઇ છે. જેમાં સહકારી અગ્રણી પુરૂષોત્તમ પીપરીયા અને રામભાઇ બચ્છાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટિને વર્તમાન કારોબારી 10મી તારીખના રોજ કાર્યભાર સોંપી દેશે અને જે બાદ ચૂંટણી સમિતિ ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરશે.
ચેરમેન વી. પી. વૈષ્ણવે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે, ચૂંટણી સમિતિના નેજા હેઠળ ચેમ્બરની ચૂંટણી લોકશાહી ઢબે અને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાશે. મતદાન માટેનું સ્થળ પણ આવતા સપ્તાહે નક્કી કરવામાં આવશે. હાલ 2,500 સભ્યો છે, તેમાંથી 1,802 સભ્યોને મતાધિકાર છે. જ્ઞાતિવાદ અને કોઇ પણ પ્રકારના વાદવિવાદથી દૂર રહીને માત્ર કાર્યક્ષમતાના આધારે આ ચૂંટણી યોજવામાં આવશે. સૌને એક સાથે રાખી 'સૌનો સાથ સૌનો વિકાસ' એ સૂત્રને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણીના મેદાનમાં ઉતરશું. અમારી ઇચ્છા છે કે, ચૂંટણી સમરસ થાય, પરંતુ જો કોઇને ચૂંટણી લડવી હોય તો તે માટેના દ્વાર ખૂલ્લા છે. આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના અન્ય હોદ્દેદારો તથા કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.