ગણેશ મહોત્સવની ઉજવણી અંગે રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેર કર્યા પ્રતિબંધક આદેશો
રાજકોટ શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે.
રાજકોટ, 10 ઓગસ્ટ : રાજકોટ શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે તારીખ 31 ઓગસ્ટના રોજ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવા અંગે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધક આદેશો
- ભગવાનની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી ન હોવી જોઈએ.
- ભગવાનની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફૂટ કરતા વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ પર પરિવહન કરવા પર,
- નક્કી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલી મંજૂરીમાં દર્શાવેલા સ્થળ સિવાય અન્ય કોઇ દરિયા, નદી, સ્ત્રીત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા પર,
- તળાવ, કુદરતી જળ સ્ત્રોત નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા પર,
- મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે, તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યાએ વેચાણ માટે રાખનાર તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા પર,
- તેમજ મૂર્તિઓના બનાવટો પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર,
- મૂર્તિના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણમાં લીધેલા અથવા ખંડિત થયેલી મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મૂકવા પર,
- કોઇ પણ ધર્મના લોકોની લાગણી દૂભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેચવા તેમજ સ્થાપના કરવા પર,
- ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપ એક દિવસ કરતાં વધુ દિવસ સુધી રાખવા પર,
મૂર્તિને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઇ જવા પર, સ્થાપના કે વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાયના અન્ય રૂટ પર સ્થાપના કે વિસર્જન યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ફરજિયાત
રાજ્ય સરકારના સંબંધિત વિભાગો તરફથી દરિયા, નદી, તળાવના પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા માટે અને રાજકોટ શહેરમાં બહારથી ગણેશજીની મૂર્તિઓ લાવી વેચવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉજવણી દરમિયાન માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ફરજિયાત રહેશે.
આ હુકમ તારીખ 11 ઓગસ્ટ થી તારીખ 11 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેરના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે, જેનો ભંગ કરનારા સામે શિક્ષત્મક પગલા લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
