ઉમરગામના દહેલીમાં નવા સબ સ્ટેશનનું ખાતમૂહુર્ત કરાયુ!
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેલી ખાતે જેટકોના ૧૩ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કેવી સબ સ્ટેશનનું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેલી ખાતે જેટકોના ૧૩ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કેવી સબ સ્ટેશનનું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સબ સ્ટેશનમાં કુલ ૧૧ કે.વી.ના ૫ ફીડરો હશે અને તે ૪૯૦૦ ચો.મી વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. સબ સ્ટેશનથી કુલ ૬૯૭૨ વીજ ગ્રાહકોને લાભ મળશે. આ સબ સ્ટેશનથી ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો વીજ પૂરવઠો પ્રાપ્ત થશે.
ભીલાડના સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કુલ ૬૭ જેટલી વીજ કંપનીઓ કાર્યરત છે. તેના તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આ બધી વીજ કંપનીઓમાંથી સર્વોચ્ચ ક્રમાંકે રહેલી પાંચ કંપનીઓમાં ગુજરાતની જ ચાર કંપનીઓ સ્થાન ધરાવે છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ સબસ્ટેશન દ્વારા અસપાસના વિસ્તારોને લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો ઉકેલ આવશે. હાલમાં સોલાર રૂફટોપ દ્વારા રોજની ૨૦૦૦ મેગાવોટ અને પવનઊર્જા મારફતે રોજની ૩૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમજ ભારતમાં એક વ્યક્તિદીઠ ૧૧૩૨ યુનિટ વીજ વપરાશ છે જ્યારે ગુજરાતમાં આ વીજવપરાશ વધીને વ્યક્તિદીઠ ૨૧૮૩ યુનિટ્નો છે. વીજ કટોકટીના સમયે પણ ગુજરાતમાં એકપણ દિવસ વીજકાપ અપાયો નથી.
ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, સરકારે વીજા પૂરવઠાને પહોંચી વળવા અનેક સબ સ્ટેશનો બનાવ્યા છે અને હજી પણ જરુરી હશે એવા વિસ્તારોમાં નવા સબ સ્ટેશનો બનાવવામાં આવશે.