સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સુરત કોર્પોરેશનને 500 કરોડથી વધુની આવક, 2025 સુધીમાં 1000 કરોડનું લક્ષ્ય!
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દુષિત પાણીને શુદ્ધ કરવા માટે ટ્રીટમેન્ટ પ્લાન શરૂ કરવામાં આવ્યા છે. આ પ્લાન સુરત કોર્પોરેશન માટે મોટી સફળતાનું કારણ બન્યા છે.
સુરત : ઔદ્યોગિક નગરી સુરતમાં વિકાસ સાથે પડકારો પણ . સુરતમાં વસ્તી વધી રહી છે તેને લઈને સુવિધાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે અને આવક મર્યાદીત છે. હવે સુરત મહાનગરપાલિકાએ એક પ્રયોગ કરી મોટી સફળતા મેળવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દુષિત પાણીને શુદ્ધ કરવા માટે ટ્રીટમેન્ટ પ્લાન શરૂ કરવામાં આવ્યા છે. આ પ્લાન સુરત કોર્પોરેશન માટે મોટી સફળતાનું કારણ બન્યા છે. હવે સુરત મહાનગરપાલિકાએ આ દૂષિત પાણી ટ્રીટમેન્ટ પ્લાનથી કરોડો રૂપિયાની કમાણી કરવાનું શરૂ કર્યું છે. સુરત કોર્પોરેશનને આ પ્લાન્ટથી 500 કરોડથી વધુની આવક છે. આ આવક 2025 સુધીમાં 1000 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પ્લાન્ટ દ્વારા સુરત મહાનગરપાલિકાએ સૌપ્રથમ 2014માં ઈન્ડસ્ટ્રીને પાણી આપવાનું શરૂ કર્યુ હતું. પાણીના પરંપરાગત સ્ત્રોતની નિર્ભરતા ઘટાડવા અને ગંદુ વોટર રિસાયકલ કરી પર્યાવરણ સંરક્ષણ માટે આયોજન કરાયુ હતું. સુરતના ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 2014માં પ્રથમ વખત પાંડેસરા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટને 40 MLD આપવાનું શરૂ કરાયું હતું. ડીંડોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ 40 MLD સાથે શરૂ કરાયો હતો. જે થકી પાંડેસરા ઉદ્યોગગૃહો પાસેથી અંદાજે 245 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થઇ હતી.
સુરતના ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત કરવામાં આવે તો શહેરમાં કુલ 1373 એમએલડીની ક્ષમતા સાથે 11 પ્લાન્ટ સક્રિય છે. જેમાં દરરોજ 970 એમએલડી ગંદાપાણીને શુદ્ધ કરવામાં આવે છે. આ સિવાય શહેરમાં 2109 એમએલડી ક્ષમતાના 63 પંપીંગ સ્ટેશન છે.