સુરતઃ કોરોના સંક્રમણમાં વધારો થતાં શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું
સુરતઃ કોરોના સંક્રમણમાં વધારો થતાં શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું
શહેરમાં ફરી એકવાર કોરોનાવાયરસ બેકાબૂ બનતો જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકોને કોરોનાવાયરસની ત્રીજી લહેરનો ભય પણ સતાવી રહ્યો છે. બીજી તરફ શાળાઓ માંડ શરૂ થઈ શકી ત્યાં ફરી કોરોનાવાયરસની વાપસી થતાં બાળકોનું સ્વાસ્થ્ય પણ જોખમાયું છે અને વાલીઓ પણ ચિંતિત બન્યા છે.
વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધતાં સુરતમાં તંત્રએ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું છે. જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 30 ડિસેમ્બર 2021ના રોજ 15 જેટલા વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ મળી આવ્યું હતું. જેને પગલે તંત્રની ચિંતા પણ વધી ગઈ છે. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે શાળાઓમાં ચેકિંગ શરૂ કરી દીધું છે.
ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું છે તે ચિંતાજનક બાબત છે પણ સાથે જ તેમાં જે રીતે બાળકોમાં પોઝિટિવિટીની સંખ્યા વધી તેણે તંત્રની ઊંઘ પણ ઉડાવી દીધી છે. જેને લઈ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને સુરત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું છે. વિવિધ વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમોએ ટેસ્ટિંગનું કામ ચાલુ કર્યું છે.