ધરમપુરમાં પીપીપી મોડેલ પર નિર્મિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરાયું!
વલસાડ જિલ્લાના ધરમપુરમાં નાસિક બાયપાસ રોડ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં 43.55 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં નાસિક બાયપાસ રોડ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં 43.55 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નર્મદા જળ સંપત્તિ વિભાગના મંત્રી જીતુ ચૌધરી, ધરમપુર અને વલસાડના ધારાસભ્ય અરવિંદ પટેલ અને ભરત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ઘનશ્યામચરણ સ્વામીએ આર્શીવચન આપ્યા હતા.
આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતુ કે, આ સેન્ટર પીપીપી મોડલ પર છે. આદિવાસી વિદ્યાર્થીઓની જે પણ ફી હશે તે આદિજાતિ વિભાગ, ગુજરાત સરકાર ચૂકવશે. ફક્ત તાલીમ નહીં પણ સંસ્કાર સાથે તાલીમ મેળવી રોજગારી મેળવે તેની ચિંતા બીએપીએસ સંસ્થાએ કરી છે. આદિવાસી વિસ્તારમાં વ્યસન મુક્તિ, શિક્ષણ અને આરોગ્ય માટે નિઃશૂલ્ક સેવા કરી ઘરને સ્વર્ગ તરફ લઈ જઈ સમાજને સંસ્કારી બનાવવાનું ભગીરથ કાર્ય બીએપીએસએ કરી રહી છે.
મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતુ કે, સમયનો બગાડ કર્યા વિના પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી તાલીમ લઈ પરિવાર અને સમાજને ઉપયોગી બનો. દક્ષિણ ગુજરાતમાં 8 વીટીસી સેન્ટર છે. જે પૈકી ધરમપુરના ડેડીયાપાડામાં અતુલ કંપની દ્વારા સંચાલિત વીટીસી સેન્ટરમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી દીકરા-દીકરીઓ તાલીમ લઈ રોજગારી મેળવી રહ્યા છે તે ગર્વની વાત છે.
તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂ.વિવેકસ્વરૂપદાસ સ્વામીજીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષથી ધરમપુર અને કપરાડામાં ફરતા દવાખાનાની નિઃશૂલ્ક સેવા ચાલી રહી છે. ઝુપડે ઝુપડે જઈને વ્યસન મુક્તિનો સંદેશ આપી સ્વસ્થ સમાજનું નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. પ્રગતિના મૂળમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. અહીં શિક્ષણની સાથે જીવન ઘડતરના પાઠ પણ શીખવવામાં આવે છે.
પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના આચાર્ય જિજ્ઞેશ પટેલે કહ્યું કે, આ સંસ્થા 12.50 એકરમાં પથરાયેલી છે. જેમાં 30 ટ્રેડ શરૂ કરાશે. 300 યુવક અને 200 યુવતીઓને રહેવા માટે અલગ અલગ છાત્રાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ માન્યતા ધરાવતા મિકેનિકલ, આઈટી અને ગારમેન્ટ સેક્ટરના ટ્રેડમાં હાલ 273 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. જેમાંથી 120 યુવક અને 51 યુવતી અહી છાત્રાલયમાં રહીને જ અભ્યાસ કરી રહી છે. સંસ્થામાં તાલીમ પૂર્ણ થયા બાદ જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવશે.