વડોદરા જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ ૨૦ અમૃત સરોવરનું લોકાર્પણ કરાશે
વડોદરા જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ ૨૦ અમૃત સરોવરનું લોકાર્પણ કરાશે
સમગ્ર દેશ આઝાદી નો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આઝાદીના અમૃત પર્વે પર રાજ્યના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું આહ્વાન કર્યું છે. વડોદરા જિલ્લામાં આ સંકલ્પને સાકાર કરવા 20 અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે.
વડોદરા જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ નવિનીકરણની કામગીરી જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. જે પૈકી પાંચ અમૃત સરોવર આઠ કરોડના ખર્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લામાં ૭૫ અમૃત સરોવર પૈકી ૨૦ અમૃત સરોવરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ૨૦ અમૃત સરોવર પૈકી ૧૫ સરોવર ઊંડા કરવાની કામગીરી લોકભાગીદારીથી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવી છે. ૧૫ ઓગસ્ટના રોજ આ ૨૦ અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે.
વડોદરા જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ડભોઈ તાલુકાના વઢવાણા, કરજણના કુરાલી,પાદરાના જાસપુર, સરસવાણી, ચાણસદ,સાવલીના તુલસીપુરા અને વાઘોડિયા તાલુકાના ગજાદરા ગામે અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડભોઈ તાલુકાના સાંઠોદ, વાલીપુરા,સીતપુર, સાવલીના તુલસીપુરા, વડોદરાના પદમલા, રાયકા અને વાઘોડિયા તાલુકાના વાઘોડિયા, અંટોલી અને સાગાડોળ ગામે લોકભાગીદારીથી અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અમૃત સરોવર ફરતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વોટર શેડ યોજના હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે “આઝાદી ના અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. રાજયમાં હાલ કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે.