વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો
વડોદરા જિલ્લાના પીઆઈ અજય દેસાઈએ સાસરીમાં ફોન કરીને કહ્યુ કે પત્ની ઝઘડો થયા બાદ ક્યાંક ચાલી ગઈ છે પરંતુ 45 દિવસ બાદ જ્યારે સચ્ચાઈ બહાર આવી ત્યારે બધાના હોશ ઉડી ગયા.
અમદાવાદઃ વડોદરા જિલ્લાના પીઆઈ અજય દેસાઈએ સાસરીમાં ફોન કરીને કહ્યુ કે પત્ની ઝઘડો થયા બાદ ક્યાંક ચાલી ગઈ છે પરંતુ 45 દિવસ બાદ જ્યારે સચ્ચાઈ બહાર આવી ત્યારે બધાના હોશ ઉડી ગયા. પીઆઈ અજયે જ પત્ની સ્વીટી પટેલની ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. આ હત્યામાં કોંગ્રેસ નેતાનો પણ હાથ સામે આવ્યો હતો. પોલિસે આરોપી અધિકારી અને નેતા બંનેની ધરપકડ કરી લીધી છે.
પીઆઈને કોંગ્રેસ નેતાએ આપ્યો સાથ
તમને દણાવી કે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે પીઆઈ અજયને પત્નીની હત્યા કરીને પોતાના એક મિત્રની મદદથી શબને સળગાવી દેવાના આરોપમાં ધરપકડ કરી છે. મહિલા વડોદરાના કરજણ વિસ્તારથી લગભગ દોઢ મહિનાથી ગુમ હતી. ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યુ કે કિરીટસિંહ જાડેજા નામના વ્યક્તિની પણ મદદ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તેણે 2020માં કોંગ્રેસની ટિકિટ પર કરજણ વિધાનસભાની પેટાચૂંટણી લડી હતી પરંતુ હાર મળી હતી.
અવાવરુ બિલ્ડિંગ પાછળ મળ્યા હતા હાડકા
50 દિવસ પહેલા વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ ગુમ થયા બાદ જિલ્લા પોલિસની તપાસમાં દહેજ પાસેના અટાલી ગામ નજીક અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાક હાંડકા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્વીટી પટેલના આ ત્રીજા લગ્ન હતા. જ્યારે અજય દેસાઈના સ્વીટી સાથે બીજા લગ્ન હતા. વળી, સ્વીટી પટેલ સાથે 2017માં ફૂલહાર કર્યા બાદ અજય દેસાઈએ મહેસાણાની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ અજય અને સ્વીટી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા.
નાર્કોટેસ્ટનો ઈનકાર કરતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને ગઈ શંકા
નોંધનીય છે કે જિલ્લા પોલિસ જ્યારે સ્વીટી પટેલ કેસની તપાસ કરી રહી હતી ત્યારે પીઆઈ અજય તપાસ કઈ રીતે ચાલી રહી તે મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કેસ સોંપવામાં આવ્યો હતો. પીઆઈએ નાર્કોટેસ્ટનો ઈનકાર કરતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને શંકા ગઈ હતી અને બાદમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે.