Sankalp Diwas 2023 : બાબા સાહેબને જાતિવાદને કારણે માત્ર 11 દિવસમાં છોડવી પડી નોકરી, જાણો સંકલ્પ દિવસનો ઇતિહાસ
Sankalp Diwas 2023 : ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના દેશ પર અગણિત ઉપકાર છે, જેમને માત્ર લોકો એક સમુદાયના નેતા તરીકે સિમિત કરી દેવામાં આવ્યા છે. જાતિવાદની પારાકાષ્ઠા વચ્ચે બાબા સાહેબે શિક્ષણ મેળવી જે નામના અને કાર્યો કર્યા એ અભૂતપૂર્વ છે.
મધ્ય પ્રદેશના મહુ ગામમાં જન્મેલા ભીમરાવ આંબેડકરનું વિશેષ જોડાણ વડોદરા સ્ટેટ સાથે છે. જેનું કારણ શિક્ષણપ્રેમી અને ક્રાંતિકારી વિચારક મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય સાથે તેમની આત્મીયતા અને તેમને કરેલી મદદને આભારી છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાબા સાહેબને વિદેશમાં ભણવામાં મદદ કરી હતી. વિદેશ જતા પહેલા તેમણે મહારાજાને લખેલા પત્રમાં વચન આપ્યું હતું કે, શિક્ષણ મેળવ્યા બાદ તે અહીં આવીને નોકરી કરશે. એવું પણ બન્યું કે, બાબા સાહેબે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને લંડનની સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું. આ પછી જ્યારે તેઓ ભારત આવ્યા, ત્યારે તેણે સૌથી પહેલા બરોડામાં કામ કરવાનું નક્કી કર્યું હતું.
ધર્મશાળા છોડવી પડી - અમેરિકા અને યુરોપમાં પાંચ વર્ષ બાદ જ્યારે બાબા સાહેબ બરોડા પહોંચ્યા, ત્યારે તેમની સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, તેઓ ક્યાં રોકાશે? બહુ વિચાર-વિમર્શ બાદ તેણે પારસી ધર્મશાળામાં રહેવાનું નક્કી કર્યું હતું. તેઓ બરોડા સ્ટેટમાં મિલિટરી સેક્રેટરી પદ તરીકે હોવા છતા પણ જાતિવાદને કારણે તેમને કોઇએ મકાન ભાડે આપ્યું નહીં.
બાબા સાહેબના પુસ્તક વેઈટિંગ ફોર વિઝા મુજબ તેઓ માત્ર 11 દિવસ જ વડોદરામાં રહી શક્યા હતા. તેટલા દિવસો સુધી તેમણે બરોડાના મહારાજા માટે કામ કર્યું હતું. પારસી રેસ્ટ હાઉસમાં ભીમરાવ આંબેડકરની જાતિ વિશે લોકોને જાણ થતાં તેઓ ધર્મશાળાની બહાર એકઠા થયા હતા. બધાના હાથમાં લાકડીઓ હતી. લોકોએ કહ્યું કે, આ જગ્યા અશુદ્ધ થઈ ગઈ છે. બાબા સાહેબને સાંજ સુધીમાં જગ્યા ખાલી કરીને જવાનું કહેવામાં આવ્યું. આખરે તેમને ધર્મશાળા છોડવી પડી.
કમાટીબાગમાં બેસીને રડ્યા બાબા સાહેબ આંબેડકર - ડૉ. ભીમરાવ આંબેડકર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા, તેમણે બરોડામાં જ સરકારી બંગલો ખરીદવાનું વિચાર્યું, પરંતુ તેનાથી અસ્પૃશ્યોની સમસ્યાનો અંત આવ્યો નહીં. બરોડામાં તેના બે મિત્રો હતા, એક હિંદુ અને એક ખ્રિસ્તી, જોકે તે વિવિધ કારણોસર ત્યાં જઈ શક્યા ન હતા, જેની વિગતો પુસ્તકમાં આપવામાં આવી છે.
છેવટે તેમણે મુંબઈ પાછા જવાનું નક્કી કર્યું હતું. આ ટ્રેન બરોડાથી મુંબઈ રાત્રે 9 કલાકે હતી. ત્યાં સુધી સમય ક્યાં પસાર કરવો? પ્રશ્નોના વાવાઝોડા વચ્ચે બાબા સાહેબે બાકીના પાંચ કલાક કમાટીબાગ નામના બગીચામાં વિતાવવાનું નક્કી કર્યું. તેઓ કમાટીબાગમાં બાબા સાહેબ કલાકો સુધી રડ્યા હતા.
આ જગ્યાને કહેવાય છે, સંકલ્પ ભૂમિ - આજે દેશને સંવિધાન આપનાર ડૉ. ભીમરાવ આંબેડકર સાથે જોડાયેલી આ જગ્યાને સંકલ્પ ભૂમિ કહેવામાં આવે છે. વેઈટિંગ ફોર વિઝામાં લખ્યું છે કે, ભીમરાવ આંબેડકર ઘણી અપેક્ષાઓ સાથે બરોડા આવ્યા હતા. તેમણે બરોડામાં કામ કરવાની ઘણી મોટી ઓફર ફગાવી દીધી હતી.
જાતિવાદના કારણે તેમને માત્ર 11 દિવસ બાદ જ પ્રથમ નોકરી છોડવી પડી હતી. જે વૃક્ષ નીચે ભીમરાવ આંબેડકર રડ્યા હતા. હવે આ જગ્યાને સંકલ્પ ભૂમિ કહેવામાં આવે છે. વડનું ઝાડ એ જૂનું ઝાડ નથી પણ એ જ ઝાડની ડાળીમાંથી એ જ જગ્યાએ નવું વૃક્ષ વાવવામાં આવ્યું છે.
દર વર્ષે સંકલ્પ ભૂમિ અને અન્ય પ્રસંગોએ લોકો વડોદરા પહોંચે છે. એવું કહેવાય છે કે, ભીમરાવ આંબેડકરે જાતિવાદ અને અસ્પૃશ્યતા નાબૂદ કરવાનો સંકલ્પ આ જ સંકલ્પ ભૂમિ પર લીધો હતો. બાદમાં જ્યારે તેમને બંધારણ બનાવવાની તક મળી, ત્યારે તેમણે અસ્પૃશ્યતા નિવારણ માટે કાયદાકીય જોગવાઈઓ કરી હતી.
સામાજિક અસમાનતા સામે લડ્યા બાબાસાહેબ - ડૉ. ભીમરાવ આંબેડકર માનતા હતા કે, ભારતીય મહિલાઓના પછાતપણુંનું મૂળ ભેદભાવપૂર્ણ સામાજિક વ્યવસ્થા અને શિક્ષણનો અભાવ છે. શિક્ષણમાં સમાનતાના સંદર્ભમાં આંબેડકરના વિચારો સ્પષ્ટ હતા. તેમનું માનવું હતું કે, જો આપણે છોકરાઓની સાથે છોકરીઓના શિક્ષણ પર ધ્યાન આપવાનું શરૂ કરીએ તો આપણે પ્રગતિ કરી શકીશું. શિક્ષણ પર કોઈ એક વર્ગનો અધિકાર નથી.
સમાજના દરેક વર્ગને શિક્ષણનો સમાન અધિકાર છે. પુરૂષ શિક્ષણ કરતાં સ્ત્રી શિક્ષણ વધુ મહત્વનું છે. સ્ત્રી એ સમગ્ર કુટુંબ વ્યવસ્થાની ધરી હોવાથી એ વાતને નકારી શકાય તેમ નથી. આંબેડકરનું પ્રખ્યાત સૂત્ર 'શિક્ષિત કરો' થી શરૂ થાય છે. આ મૂળ મંત્રને અનુસરીને આજે ઘણી સ્ત્રીઓ શિક્ષિત થઈને આત્મનિર્ભર બની રહી છે.
બાબાસાહેબ આંબેડકર કુલ 64 વિષયોમાં માસ્ટર હતા. તેઓ હિન્દી, પાલી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, મરાઠી, ફારસી અને ગુજરાતી એમ 9 ભાષાઓમાં સારી રીતે જાણકાર હતા. આ સિવાય તેમણે લગભગ 21 વર્ષ સુધી વિશ્વના તમામ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. ડૉ. આંબેડકર એકમાત્ર ભારતીય છે, જેમની પ્રતિમા લંડનના મ્યુઝિયમમાં કાર્લ માર્ક્સ સાથે સ્થાપિત કરવામાં આવી છે.
આટલું જ નહીં, તેમને દેશ-વિદેશમાં અનેક પ્રતિષ્ઠિત સન્માનો પણ મળ્યા છે. ભીમરાવ આંબેડકર પાસે કુલ 32 ડિગ્રી હતી. ડૉ. ભીમરાવ આંબેડકરના અંગત પુસ્તકાલય રાજગૃહમાં 50 હજારથી વધુ પુસ્તકો હતા. તે વિશ્વની સૌથી મોટી ખાનગી પુસ્તકાલય હતી.
15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી પછી જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની નવી સરકારની રચના કરવામાં આવી ત્યારે ડૉ. આંબેડકરને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 29 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર ભારતનું નવું બંધારણ તૈયાર કરવા માટે ડૉ. આંબેડકરની બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 26 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભાએ તેમના નેતૃત્વ હેઠળ બનેલા બંધારણને અપનાવ્યું હતું.












Click it and Unblock the Notifications
