વડોદરાઃ મહિલાની ફરિયાદ પર લવ જેહાદના કેસમાં પતિની ધરપકડ
વડોદરાઃ મહિલાની ફરિયાદ પર લવ જેહાદના કેસમાં પતિની ધરપકડ
ગુજરાતમાં તાજેતરમાં જ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) બિલ-2021 વિધાનસભામાં પાસ થયું જેને લવ જેહાદ વિરોધી કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં 15 જુનથી લવ જેહાદ વિરોધી કાયદો લાગૂ થઈ ગયો છે અને આ મામલાના આરોપીઓને આકરી સજાની જોગવાઈ પણ છે. ગુજરાતમાં કાયદો લાગૂ થયાના પહેલા જ મહિને બીજો કેસ સામે આવ્યો છે.
યુવતીએ છાણીના યુવક અને તેના પરિવારના બે સભ્યો સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો છે. આ મામલે વડોદરા પોલીસે યુવતીના પતિ અને પરિવારના અન્ય બે સભ્યોની ધરપકડ કરી છે. મોહેબ ઈમ્તિયાઝ પઠાણ ખાન પર આરોપ છે કે લગ્ન પૂર્વે તેણે યુવતીને તેના ધર્મ મુજબ રહેવાની વાત કરી હતી અને લગ્ન પછી ધર્મ પરિવર્તન માટે દબાણ કરી કાઝીને બોલાવી મુસ્લિમ ધર્મ મુજબ નિકાહ પણ કરાવ્યા હતા. આ મામલે પીડિત યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "યુવતીએ કરેલી ફરિયાદ મામલે પોલીસે આઈપીસીની કલમ 377, 498, 354, અને ધર્મ સુધારા અધિનિયમ-2021ની કલમ 4 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."
નોંધનીય છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના મામલે 5 વર્ષ સુધીની જેલની સજા અને 2 લાખ રૂપિયા દંડની જોગવાઈ છે, આ ઉપરાંત સગીર સાથેના આવા ગુનામાં 7 વર્ષ સુધીની જેલની સજા અને 3 લાખના દંડની જોગવાી છે. વળી, અનુસૂચિત જાતિ, જનજાતિની દીકરીઓ સાથેના આવા ગુનામાં 7 વર્ષની જેલની જોગવાઈ છે.