શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો ગોળીબાર, 1નું મોત!
શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શનમાં સામેલ લોકો પર પોલીસે ગોળીબાર કર્યો છે. મંગળવારે પોલીસ ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને ઓછામાં ઓછા 10 ઘાયલ થયા હતા.
કોલંબો, 19 એપ્રિલ : શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શનમાં સામેલ લોકો પર પોલીસે ગોળીબાર કર્યો છે. મંગળવારે પોલીસ ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને ઓછામાં ઓછા 10 ઘાયલ થયા હતા. ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં છેલ્લા ઘણા દિવસોથી હજારો લોકો વર્તમાન સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. જોકે, પોલીસ દ્વારા ફાયરિંગની આ પ્રથમ ઘટના છે.
શ્રીલંકા પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે પ્રદર્શનકારીઓએ હિંસાનો આશરો લીધો અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યા પછી પોલીસે કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવો પડ્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું. અન્ય ઘણા લોકો ઘાયલ છે.
શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે ઈંધણની તીવ્ર અછત છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે અને પાવર કટ છે. જેના કારણે સરકાર વિરોધીઓ વિરોધ ઉગ્ર બની રહ્યા છે. વિરોધીઓ રાષ્ટ્રપતિ ગોતાભાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ઇંધણની તીવ્ર અછતની સાથે શ્રીલંકામાં ખોરાક અને દવાઓની પણ અછત સર્જાઈ છે. છેલ્લા 70 વર્ષમાં શ્રીલંકાની સામે આ સૌથી મોટું આર્થિક સંકટ છે. શ્રીલંકા વિદેશી હૂંડિયામણની અછતનો પણ સામનો કરી રહ્યું છે.