પાકિસ્તાનમાં આગની બે દુર્ઘટનાઓમાં 289 ભૂંજાયા, અમેરીકી રાજદ્વારીનું મૃત્યુ
કરાંચીના બાલ્દિયા વિસ્તારમાં આવેલી બહુમાળી ગારમેન્ટ ફેક્ટરીમાં મંગળવારે સાંજે અંદાજે 6 વાગે લાગેલી આગ હતી જેમાં અનેક લોકો ભડથું થયા હતાં. આ દુર્ધટનાના થોડા જ કલાકોમાં પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં આવેલી એક શૂ કંપનીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. અગ્નિશમનદળના જવાનોએ કરાંચીમાં બચાવ કામગીરી શરૂ કરી હતી અને બુધવારે બપોર સુધીમાં 166 મૃતદેહો બહાર કાઢ્યા હતા.
કરાંચીના કમિશનર રોશન અલી શેખે જણાવ્યું હતું કે 'બપોર સુધીની કામગીરીમાં મૃતાંક 166 હતો, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગને સાફ કરતા વધુ મૃતકો મળવાની શક્યતા છે. કેટલાક લોકો કેબિન અને ભોંયરામાં ફસાયેલા હોવાની સંભાવના છે. બચાવદળ ખૂબ સાવચેતીથી કામ કરી રહ્યું છે કારણ કે બિલ્ડિંગમાં પડેલી તિરાડોને કારણે ગમે તે સમયે બિલ્ડિંગનો ભાગ તૂટી પડવાની સંભાવના છે.' આ દુર્ઘટનાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓનું કહેવું છે કે ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું.