પાકિસ્તાન: દરગાહમાં બોમ્બ ધમાકો, 90 લોકોના મોત, 100 થી વધુ ઘાયલ
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક દરગાહમાં બોમ્બ ધમાકો થયો છે...
પાકિસ્તાનની શાહ નૂરાની દરગાહમાં શનિવારે થયેલા બોમ્બધમાકામાં 90 લોકોના મોત થયા છે અને 100 લોકો ઘાયલ થયા છે. હુમલાની સૂચના મળતા જ પોલિસ અને રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટળ પહોંચાડવાનું કામ શરુ કરી દીધુ હતુ.
બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં શાહ નૂરાનીની દરગાહમાં જે સમયે ધમાકો થયો ત્યારે દરગાહમાં 'ધમાલ' નામનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. 'ધમાલ' કાર્યક્રમ હોવાને કારણે દરગાહમાં ભારે ભીડ હતી. આ કાર્યક્રમ અંતર્ગત દરગાહમાં નાચગાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. દરગાહની આસપાસ કોઇ હોસ્પિટલ ન હોવાને કારણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં તકલીફ પડી રહી છે. જેના કારણે ઘાયલોને તાત્કાલિક સારવાર નથી મળી રહી. ગંભીર રીતે ઘાયલોને કરાંચી પહોંચાડવામાં આવી રહ્યા છે.
બલૂચિસ્તાનના ગૃહમંત્રી મીર સરફરાઝ અહમદ બુગતીએ કહ્યું કે ઘાયલોને દરેક સંભવ મદદ પહોંચાડવાની કોશિશ ચાલી રહી છે. હુમલા પાછળ શું કારણ છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલાઓ સહન કરી રહ્યો છે. પ્રાંતમાં હાલમાં જ એક પોલિસ ટ્રેનિંગ સેંટર પર થયેલા આતંકી હુમલામાં 60 થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આઇએસએ લીધી હતી. જો કે તેની અધિકૃતતા હજુ પુરવાર થઇ શકી નથી તેમ ઇએફઇ ન્યૂઝ એજંસીએ જણાવ્યું હતુ.
બલૂચિસ્તાનના પ્રવકતા અનવર ઉલ-હક કાકરે જણાવ્યુ હતુ કે ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. આ દરગાહ પહાડી વિસ્તારમાં આવેલ હોવાથી ઘાયલોને નજીકની હોસ્પિટલામાં પહોંચાડવામાં આવી રહ્યા છે.