ઇરાકમાં બંદી બનાવાયેલી 46 ભારતીય નર્સ મુક્ત, શનિવારે આવશે કેરળ
બગદાદ/નવી દિલ્હી, 4 જુલાઇ: ઇરાકમાં છેલ્લા ઘણા દિવસોથી ફસાયેલી 46 ભારતીય નર્સોને છોડી મૂકાયાના સમાચાર આવી રહ્યા છે. ખુદ કેરળના મુખ્યમંત્રીએ આ અંગેની ખરાઇ કરી છે. આતંકી સંગઠન આઇએસઆઇએસ દ્વારા બંદી બનાવવામાં આવીલી ભારતીય નર્સને શુક્રવારે મુક્ત કરી દેવામાં આવી છે. બાદમાં તેમને ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. આ નર્સો હજી પણ ઇરાકમાં જ છે અને શનિવાર સવારે સાત વાગ્યા સુધી તે કોચ્ચિ આવી પહોંચશે.
કેરળના મુખ્યમંત્રી ઓમન ચાંડીએ જણાવ્યું કે ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો મુક્ત થઇ ગઇ છે અને તે ગઇ કાલે કોચ્ચિ પહોંચશે. બધી જ નર્સ શનિવારે સવારે સાત વાગ્યે કોચ્ચિ એરપોર્ટ પર પહોંચશે. ચાંડીએ આ અંગેના સમાચાર નર્સોના પરિવારજનોને પણ આપ્યા.
આ પહેલા, કેરળના મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ જણાવ્યું હતું કે ઇરાકમાં સુન્ની આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલી ભારતીય નર્સોને હવાઇમથક લઇ જવામાં આવી છે. ચાંડીએ જણાવ્યું કે ભારતીય નર્સોને ઇરબિલ હવાઇમથક લઇ જવામાં આવી. નર્સોએ પણ પોતાના પરિવારને ફોન પર જણાવ્યું છે કે આતંકી તેમને આજે મુક્ત કરી દેશે. નર્સોને લાવવા માટે દુબઇ, મુંબઇ અને દિલ્હીમાં વિમાન સજ્જ છે.
તમામ નર્સને ISISના ઉગ્રવાદીઓ જ તિરકિટમાંથી મોસુલ શહેરમાં શિફ્ટ કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતીય અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સને ફોન પર આપેલી જાણકારીમાં સોના જોસેફ નામની એક નર્સે કહ્યું કે, અમે ઉગ્રવાદીઓનો શાંતિપૂર્વક સામનો કરી રહ્યાં હતા, પણ હવે તે દાઢીધારીઓના તેવર બદલાઈ ગયા છે. તેમની સામે નમતું જોખ્યા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.