વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 16 લોકોના મોતની આશંકા
ઇમર્જન્સી સિચ્યુએશન મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં તેમની પાસે 16 લોકો વિશે કોઇ માહિતી નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમના જીવિત રહેવાની શક્યતા પણ ઘણી ઓછી છે.
મોસ્કો : રશિયાના તતારસ્તાન ક્ષેત્રના મેન્ઝેલિન્સ્કમાં રવિવારના રોજ એક વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 21 પેરાશૂટ ડાઇવર્સ સહિત કુલ 23 લોકો સવાર હતા. રિપોર્ટ્સ અનુસાર 23 માંથી 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 16 લોકોના મોતની આશંકા છે.
રશિયન સમાચાર એજન્સી તાસે આ અંગે માહિતી આપી હતી. આ વિમાન કેમ ક્રેશ થયું, તે અત્યાર સુધી જાણી શકાયું નથી. તાસના સમાચાર અનુસાર લેટ એલ 410 ટર્બોલેટ પ્લેન મેન્ઝેલિન્સ્ક શહેરમાં ક્રેશ થયું. વિમાન સ્થાનિક સમય અનુસાર સવારે 9:11 કલાકે ક્રેશ થયું હતું.
ઇમર્જન્સી સિચ્યુએશન મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં તેમની પાસે 16 લોકો વિશે કોઇ માહિતી નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમના જીવિત રહેવાની શક્યતા પણ ઘણી ઓછી છે. મંત્રાલયે જણાવ્યું કે, અમે વિમાનના કાટમાળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ઘણી મુશ્કેલી છે. વિમાનમાં સવાર લોકોને બચાવવા માટે Mi 8 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં સવાર બચાવકર્મીઓ વિમાન સુધી પહોંચવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે.