પાંચ વર્ષ બાદ ચૂંટણી લડવા રવિવારે પાકિસ્તાન પરત ફરી શકે છે મુશર્રફ
મુશર્રફે સ્વીકાર્યું કે તેમના શાસનકાળમાં પીર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બેનઝિર ભુટ્ટોની હત્યા થઇ હતી પણ તે દુર્ઘટના સુરક્ષા વ્યવસ્થામાં ખામીને કારણે સર્જાઇ ન હતી. તેમણે જણાવ્યું કે "બેનઝિર એક જલસામાં આવ્યા હતા. તેઓ મંચ ઉપર ગયા હતા. ત્રણ કલાક સુધી તેઓ ત્યાં રહ્યા હતા. ત્યાર બાદ તેઓ વિસ્ફોટક પ્રુફ ગાડીમાં બેઠા હતા. સમગ્ર ગટના ત્યારે બની જ્યારે તેઓ ગાડીમાંથી બહાર આવ્યા. ગાડીમાં જે ચાર લોકો બેઠા હતા તેમનો વાળ પણ વાંકો થયો ન હતો."
ઉલ્લેખનીય છે કે 27 ડિસેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાં એક રેલી બાદ બેનઝિર ભુટ્ટેની હત્યા કરી દેવામાં આવી હતી. મુશર્રફ માને છે કે જ્યારે તેમણે પાકિસ્તાન છોડ્યું હતું ત્યારે સુરક્ષાની સ્થિતિ નાજુક હતી, પણ આજે તે વધારે બદથી બદતર બની છે. અત્યારે પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ અત્યંત ખરાબ છે.
બીજી તરફ મુશર્રફના વકીલોનું કહેવું છે કે મુશર્રફને અનેક કેસમાં સુરક્ષાત્મક જમાનત મળી ગઇ છે. આ કારણે તેમનો પાકિસ્તાન પરત ફરવાનો માર્ગ મોકળો બન્યો છે. મુશર્રફ પર પાકિસ્તાનમાં અનેક કેસ ચાલી રહ્યા છે. જેમા હત્યાના કાવતરાનો કેસ પણ છે. મુશર્રફે ઇશારો કર્યો છે કે તેઓ પાકિસ્તાન પાછા ફરવા માંગે છે.તેઓ રવિવારે કરાંચી પહોંચી શકે છે. પાંચ વર્ષ પહેલા પાકિસ્તાન છોડ્યા બાદ મુશર્રફ દુબઇ અને લંડનમાં રહી રહ્યા છે.
જ્યારે મુશર્રફને પૂછવામાં આવ્યું કે આ અગાઉ પણ તેઓ પાકિસ્તાન પરત ફરવાની વાત કરી ચૂક્યા છે ત્યારે તેમણે જણાવ્યું કે "પરિસ્થિતિને આધારે વ્યક્તિના વિચારો બદલાય છે. પહેલા પરિસ્થિતિ સારી ન હતી તેથી મેં વિચાર બદલ્યો હતો. મેં ત્યારે ઇરાદો બદલ્યો હતો પણ ત્યારે ચૂંટણીઓ સામે ન હતી. હવે તો ચૂંટણીઓ આવી ગઇ છે. મેં પાર્ટી પણ બનાવી છે. હવે આ અભી નહીં તો કભી નહીં વાળી વાત થઇ ગઇ છે."
મુશર્રફ માને છે કે તેમના શાસનકાળમાં પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની નેતા બેનઝિર ભુટ્ટોની હત્યા થઇ હતી, પણ તેઓ એ દુર્ઘટનાનું કારણ સુરક્ષામાં ઉણપને નથી માનતા. મુશર્રફને જ્યારે પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન પરત ફરવા અંગે તેમની વાતચીત સેના કે સાઉદી અરબ સાથે થઇ છે? અથવા તેમણે પોતાની સુરક્ષાની ગેરંટી માંગી છે? ત્યારે તેમણે જણાવ્યું કે હું ક્યારેય કોઇ વસ્તુ માંગતો નથી અને મને તેની ટેવ પણ નથી. અહીં મારો પ્રભાવ છે. મેં બે યુદ્ધો લડ્યાં છે. 40 વર્ષ સુધી હું લશ્કરમાં રહ્યો છું. લશ્કર જાણે છે કે મારે શું જોઇએ છે અને તે એ આપશે પણ ખરું.
મુશર્રફનું કહેવું છે કે અત્યારે તેમણે બીજી કોઇ રાજકીય પાર્ટીઓ સાથે વાત કરી નથી. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે તેમ જોડાણ વધશે. મુશર્રફને અનેક કેસમાં જમાનત મળી છે પણ અત્યારે પણ પાકિસ્તાનમાં તેમની ઘરપકડનું જોખમ ટળ્યું નથી. આ અંગે મુશર્રફ કહે છે કે જો તેમને પકડી લેવામાં આવશે તો તેમને જેલોમાં કેવી વ્યવસ્થા છે, શું ખામીઓ છે તેનો વધારે ખ્યાલ આવશે.