બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી પર આપ્યું વિવાદિત નિવેદન, ભાજપે પાકિસ્તાન હાઈકમિશનને ઘેર્યુ
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ગુરુવારે વડાપ્રધાન મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કહ્યુ કે ભારતને કહેવા માંગુ છું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવતો છે
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ગુરુવારે વડાપ્રધાન મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ કરતા બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે હું ભારતને કહેવા માંગુ છું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવતો છે અને ભારતના વડાપ્રધાન છે. ભુટ્ટોની આ હાસ્યાસ્પદ ટિપ્પણી સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિરોધમાં ઉતરી આવ્યા છે. આ અંગે આજે ભાજપના કાર્યકરોએ પાકિસ્તાન હાઈકમિશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પાકિસ્તાન મુર્દાબાદના લાગ્યા નારા
ભુટ્ટોના નિવેદન સામે ભાજપના કાર્યકરોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન પહોંચ્યા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન કાર્યકરોએ હિન્દુસ્તાન ઝિંદાબાદ... પીએમ મોદી ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવા આવેલા ભાજપના સેંકડો કાર્યકરોએ પણ પ્લેકાર્ડ હાથમાં લીધા હતા. આ પ્લેકાર્ડ્સ પર પાકિસ્તાન ઔકા તુઝે દિખાયેંગે અને ધૂલ તુઝે ચટાયેંગે....પાકિસ્તાન મુર્દાબાદ...મુર્દાબાદ...મુર્દાબાદ, પાકિસ્તાન હોશ મેં આઓ લખેલું હતું.
તેજસ્વી સુર્યાએ પણ જતાવ્યો વિરોધ
ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા અને અન્ય ઘણા નેતાઓએ પણ ભુટ્ટોના હાસ્યાસ્પદ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ નિવેદનનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે દુનિયાએ પાકિસ્તાનની હરકતો અને યોજનાઓ જોઈ છે. તેઓ લાંબા સમયથી આતંકવાદીઓને આશ્રય આપી રહ્યા છે. પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં માર્યો અને ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી.
|
ભુટ્ટોના નિવેદન બાદ રાજ્ય મંત્રીએ જતાવ્યો વિરોધ
ભુટ્ટોના નિવેદન સામે વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે ભુટ્ટોના વડવાઓ કાશ્મીર, પંજાબ, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને કરાચીમાં આતંકવાદ માટે જવાબદાર હતા. તો બધા જાણે છે કે કસાઈ કોણ છે? ભારત એક કાયદાનું પાલન કરનાર નાગરિક છે, જ્યાં બંધારણ કામ કરે છે. સુપ્રીમ કોર્ટે પીએમ મોદીને ક્લીનચીટ આપી દીધી છે. આ સિવાય વિદેશ રાજ્ય મંત્રીના નિવેદનનો વિરોધ પણ કર્યો છે.
તેમણે કહ્યું કે જો કોઈ દેશના વિદેશ મંત્રી આ પ્રકારનું નિવેદન કરી રહ્યા છે તો તે તેમને શોભા નથી આપતું. આ તે દેશ છે જેને FATFની ગ્રે લિસ્ટમાં ઘણી વખત સામેલ કરવામાં આવ્યો હતો. ભુટ્ટો જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે તે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે. વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રીનું નિવેદન અત્યંત શરમજનક છે અને 1971માં આ દિવસે ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાની સેનાને હરાવ્યું હતું, કદાચ એ જ કારણ હતું કે તે આજે પણ દુખમાં છે.