ઇસ્લામાબાદ, 30 એપ્રિલ: ભારતમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર ખાને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નિવેદનને 'બેજવાબદાર અને શરમજનક' ગણાવ્યું. નિસાર ખાને નરેન્દ્ર મોદીને તે નિવેદનની આકરી ટીકા કરી, જેમાં તેમણે કહ્યું હતું કે તે પાકિસ્તાનથી દાઉદ ઇબ્રાહિમને પરત લાવશે. નિસાર ખાને મંગળવારે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે, તો તેનાથી દેશમાં શાંતિ માટે ખતરો પેદા થઇ જશે.
બીજી તરફ નરેન્દ્ર મોદીને લઇને પાકિસ્તાનના ગૃહમંત્રીના નિવેદન પર કોંગ્રેસ હુમલો કર્યો છે. કોંગ્રેસ નેતા શકીલ અહેમદે કહ્યું છે, ''પાકિસ્તાનના મંત્રીને કોઇપણ પ્રકારની સલાહ આપવી ન જોઇએ. તે અમારા મુદ્દે દરમિયાનગિરી ન કરે.' ભાજપના પ્રવક્તા મીનાક્ષી લેખીએ પણ કહ્યું છે કે ''પાકિસ્તાન ભારતના આંતરિક મુદ્દે દરમિયાનગિરી ન કરે.''
પાકિસ્તાને ગુજરાત રમખાણોને ગણાવ્યું શરમજનક કૃત્ય
નરેન્દ્ર મોદીના નિવેદનની ટીકા કરતાં પાકિસ્તાની ગૃહ મંત્રીએ કહ્યું કે 'નરેન્દ્ર મોદીએ પહેલાં શોધ કરવી જોઇએ કે દાઉદ ઇબ્રાહીમ ક્યાં છે અને પછી પાકિસ્તાન ઉપર હુમલા વિશે વિચારવું જોઇએ.' ચૌધરી નિસાર ખાને કહ્યું કે કદાચ નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોના 'શરમજનક' કૃત્યથી કોઇ પાઠ શિખવો જોઇએ. તેમણે કહ્યું કે ભારતના સંભવિત વડાપ્રધાન અને એક મોટી રાજકીય પાર્ટીનું નિવેદન ઉશ્કેરીજનક છે અને આ પાકિસ્તાન પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ દર્શાવે છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી, પાકિસ્તાની મુસલમાનો પ્રત્યે દુશ્મનીની બધી સીમાઓ ઓળંગી ચૂક્યાં છે.