કોરોના વાઇરસ : ચીન પોતાની આ પ્રાચીન દવાથી દરદીઓને સાજા કરી રહ્યું છે?
કોરોના વાઇરસ : ચીન પોતાની આ પ્રાચીન દવાથી દરદીઓને સાજા કરી રહ્યું છે?

દુનિયામાં જ્યારે કોરોના વાઇરસની રસી શોધવા માટે રેસ લાગી છે, ત્યારે ચીન તેની પારંપરિક દવા કોરોનાની સારવારમાં ઉપયોગમાં લઈ રહ્યું છે.
હાલમાં જ ચીનની સરકારે એક શ્વેતપત્ર બહાર પાડીને દાવો કર્યો હતો કે દેશના 92 ટકા કોરોનાના દર્દીઓને આ દવાથી જ સારવાર અપાઈ છે.
ટ્રેડિશનલ ચાઇનિઝ મેડિસિનને ટીસીએમના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. ટીસીએમ એ વિશ્વની સૌથી જૂની મેડિકલ પ્રેક્ટિસમાંની એક છે. જેમાં જુદાજુદા પ્રકારની સારવારનો સમાવેશ થાય છે. આ પદ્ધતિમાં હર્બલ દવાઓ, એક્યુપંક્ચર અને તાઇ ચીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સારવાર ચીનમાં ખૂબ જ પ્રખ્યાત છે અને વારંવાર સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા થતી જોવા મળે છે.
નિષ્ણાતોનું માનવું છે કે ચીન તેની આ સારવાર પદ્ધતિનો દેશમાં અને વિશ્વના અન્ય દેશોમાં પ્રચાર કરવા માગે છે. જોકે, તબીબી નિષ્ણાતોને તેની ઉપયોગિતાને લઈને શંકા છે.
https://www.youtube.com/watch?v=VeE2uwuU830&t=1s
ચીને જાહેર કરેલી કોરોના વાઇરસની ગાઇડલાઇનમાં પણ ખાસ આ દવાનું ચેપ્ટર રાખવામાં આવ્યું છે. ચીન કોરોના વાઇરસની સારવાર માટે 6 પ્રકારના પારંપરિક ઇલાજની જાહેરાત પણ કરી રહ્યું છે.
જેમાં સૌથી મહત્ત્વની છે લિનહુઆ કિંગવેન છે. આ સારવારમાં વિવિધ પ્રકારની 13 ઔષધિને સાથે મેળવીને સારવાર કરવામાં આવે છે.
બીજી છે જિનહુઆ કિંગ્ગાન પદ્ધતિ, જેમાં વિવિધ 12 પ્રકારની ઔષધિ મેળવીને સારવાર થાય છે. 2009માં H1N1 નામનો વાઇરસ ફાટી નીકળ્યો હતો ત્યારે ચીને આ પદ્ધતિ વિકસાવી હતી.

આ દવાના સમર્થકોનો દાવો છે કે તેનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસરથતી નથી.
જોકે નિષ્ણાતો માને છે કે આ દવાનો ઉપયોગ કરતાં પહેલાં તેને આકરા વૈજ્ઞાનિક પ્રયોગોમાંથી પસાર કરવી જરૂરી છે.
અમેરિકાના સ્વાસ્થ્યવિભાગનું કહેવું છે કે આ દવા કોરોનાનાં લક્ષણોમાં રાહત આપી શકે છે પરંતુ તેનાથી સંપૂર્ણ સારવાર થઈ શકે કે કેમ તે સાબિત થઈ શક્યું નથી.
યૂકે સ્થિત કૉમ્પ્લિમન્ટરી મેડિસિનના નિવૃત રિસર્ચરે નેચર જનરલને જણાવ્યા પ્રમાણે ટીસીએમના એવા કોઈ યોગ્ય પૂરાવા નથી. તેથી તેનો ઉપયોગ કરવો ઘાતક પણ નીવડી શકે છે.
આમ છતાં પણ ટીસીએમનો ચીનમાં દિવસેને દિવસે ઉપયોગ વધી રહ્યો છે અને તેની આંતરાષ્ટ્રીય ક્ષેત્રે માગ પણ વધી રહી છે. ચીનની સ્ટેટ કાઉન્સિલે ગયા વર્ષે અંદાજ મૂક્યો હતો કે 2020ના અંત સુધીમાં ટીસીએમ ઇન્ડસ્ટ્રી 420 બિલિયન ડૉલરની થઈ જશે.
એવું માનવામાં આવે છે કે ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિન આ દવાના ફેન છે અને તેમણે આ દવાને ચીની સંસ્કૃતિનો ખજાનો ગણાવી છે.
આમ છતાં પણ ચીનમાં ઘણા લોકો ટીસીએમના બદલે આધુનિક દવાઓને પ્રાધાન્ય આપે છે. ચીનના ફૂડ ઍન્ડ ડ્રગ-વિભાગને ગયા વર્ષે ટીસીએમના ઘણાં નમૂનામાં ઝેરી તત્ત્વો મળી આવ્યાં હતાં.
ટીકાકારોનું માનવું છે કે ચીન મહામારીનો ઉપયોગ આ દવાને પ્રમોટ કરવામાં કરી રહ્યું છે. જોકે, સ્થાનિક મીડિયાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ચીન આ દવા આફ્રિકા, સેન્ટ્રલ એશિયા અને યૂરોપના કેટલાક દેશોમાં મોકલી રહ્યું છે.
કેટલાક લોકો આ દવાને ચીનના સોફ્ટ પાવરને વિશ્વભરમાં ફેલાવવાની એક ચાલ પણ માની રહ્યા છે. ચીનની આ દવા વિશ્વ સમક્ષ વધારે જાણીતી ત્યારે બની જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને માન્યતા આપી. જેની ઇન્ટરનેશનલ મેડિકલ કોમ્યુનિટીએ ટીકા પણ કરી હતી. આ માન્યતા મેળવવા પાછળ ચીને ઘણાં વર્ષો સુધી લૉબિંગ કર્યું હતું.
આ દવા પર અનેક વિવાદો થઈ ચૂક્યા છે અને કોરોના વાઇરસે વાઇલ્ડ લાઇફ ટ્રેડ સાથેનો તેનો નાતો ઉઘાડો પાડ્યો છે.

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=dHkMjvuXqXg&t=2s
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
