રોહિંગ્યાએ મ્યાનમારમાં હુમલા કરાવ્યા: આંગ સાન સૂ કી
મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી: રોહિંગ્યાએ દેશમાં સામાન્ય જનતા પર હુમલો કર્યો.
મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીએ મંગળવારે રાષ્ટ્રનું સંબોધન કર્યું હતું, તેમણે કહ્યું કે, મ્યાનમાર એક જટિલ રાષ્ટ્ર છે, લોકો આપેક્ષા રાખે છે કે અમે ઓછામાં ઓછા સમયમાં તમામ પડકારોનો સામનો કરી શકીએ. અહીં રોહિંગ્યા અંગે તેમણે કહ્યું કે, રોહિંગ્યાએ દેશમાં હુમલા કરાવ્યા છે. તેમણે દેશની સામાન્ય જનતા પર હુમલો કર્યો. અમે શાંતિથી પગલા લેવાના દરેક સંભવ પ્રયત્નો કર્યા. 25 ઓગસ્ટના રોજ તેમણે 30 પોલીસ મથકો પર હુમલા કર્યા હતા.
રખીન રાજ્યામાં શાંતિ સ્થાપવા પ્રતિબદ્ધ
તેમણે આગળ કહ્યું કે, અમે મનાવ અધિકારના તમામ ઉલ્લંઘનોની નિંદા કરીએ છીએ, અમે શાંતિ અને કાયદાના શાસન માટે પ્રતિબદ્ધ છીએ. મ્યાનમારને આંતરરાષ્ટ્રીય તપાસની જરૂર નથી. અમે રખીન રાજ્યમાં સ્થાયી સમાધાન માટે પ્રતિબદ્ધ છીએ. આંતરિક સંઘર્ષના લગભગ 70 વર્ષ બાદ આપણે શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાની છે. બાંગ્લાદેશ તરફ ભાગતા મુસલમાનો અંગે સાંભળવું અમારા માટે પીડાદાયક છે. રખીન રાજ્યના તમામ પીડિત લોકો માટે અમને સંવેદના છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે, તેઓ શા માટે પલાયન થઇ રહ્યાં છે, જે લોકો નાસી છૂ્ટ્યા છે અમે એમની સાથે વાત કરવાની ઇચ્છા રાખીએ છીએ.
કેન્દ્રિય સમિતિ
તેમણે કહ્યું કે, સરકાર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તથા રખીનમાં સમુદાયો વચ્ચે સાંમજસ્ય સ્થાપવાના દરેક શક્ય પ્રયત્નો કરી રહી છે. ઘણા મુસ્લિમ ગ્રામીણો હજુ પણ અહીં છે, બધા નથી ગયા. હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અહીં મુલાકાત લેવાનું નિમંત્રણ આપું છું. અમે રખીનમાં કાયદા અને વિકાસના નિયમોને લાગુ કરવા માટે એક કેન્દ્રિય સમિતિ બનાવી છે. ડૉ કોફી અન્નાને એક આયોગનું નેતૃત્વ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જે રખીનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓના ઉકેલમાં અમને મદદ કરશે.
તમામ દોષીઓને મળશે સજા
તેમણે આગળ કહ્યું કે, ધર્મ અને જાતિને વચ્ચે લાવ્યા વિના તમામ દોષીઓને સજા કરવામાં આવશે. ગત વર્ષ સુધી આપણે સૌએ વિકાસ અને શાંતિની સ્થાપનાના કાર્યક્રમને સાથે મળીને આગળ ધપાવ્યા છે. અમે નથી ઇચ્છતા કે, મ્યાનમાર ધાર્મિક જાતિઓ દ્વારા વિભાજિત એક રાષ્ટ્ર બને. ડર અને ઘૃણા એખ ગંભીર સંકટ છે. વિશ્વ સમુદાયને અપીલ કરતાં આંગ સાન સૂ કીએ કહ્યું કે, માત્ર એક પીડિતને ન જોતાં આખા દેશ પર નજર કરવામાં આવે. દેશ પરત આવનારાઓ માટે મ્યાનમાર એક શરણાર્થી સત્યાપન પ્રક્રિયા શરૂ કરવા તૈયાર છે.