પપુઆ ન્યૂ ગિનીમાં દુર્ગા પૂજાને મંજૂરી નહીં, ખ્રિસ્તી મૂલ્યો વિરુદ્ધ ગણાવી!
દક્ષિણ-પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સ્થિત ટાપુ દેશ પપુઆ ન્યુ ગિનીએ દેશમાં રહેતા હિન્દુઓને દુર્ગા પૂજાની ઉજવણી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ ઇનકાર પાછળ પપુઆ ન્યુ ગિનીના વહીવટીતંત્રે આપેલ કારણ આશ્ચર્યજનક છે.
દક્ષિણ-પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સ્થિત ટાપુ દેશ પપુઆ ન્યુ ગિનીએ દેશમાં રહેતા હિન્દુઓને દુર્ગા પૂજાની ઉજવણી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ ઇનકાર પાછળ પપુઆ ન્યુ ગિનીના વહીવટીતંત્રે આપેલ કારણ આશ્ચર્યજનક છે. વહીવટીતંત્રે દુર્ગા પૂજાને દેશના ખ્રિસ્તી મૂલ્યોની વિરુદ્ધ ગણાવી છે.
પપુઆ ન્યૂ ગિની વહીવટીતંત્રે દુર્ગા પૂજાને મૂર્તિ પૂજાનું એક સ્વરૂપ ગણાવતા કહ્યું કે તે નૈતિક રીતે અન્યાયી છે અને ખ્રિસ્તી રાષ્ટ્રના મૂલ્યોની વિરુદ્ધ છે. દુર્ગા પૂજાની ઉજવણી ન કરવા દેવાનો નિર્ણય પોલીસ કમિશનર ડેવિડ મેનિંગ દ્વારા લેવામાં આવ્યો છે, જે કોવિડ-19 નિયંત્રક તરીકે પણ કાર્ય કરી રહ્યા છે.
પોર્ટ મોરેસબાઈ દુર્ગા પૂજા સમિતિના ચેરમેન પુષ્પેન્દુ મૈતિએ જણાવ્યું કે, મેનિંગે તેના જવાબમાં લખ્યું હતું કે તમારી વિનંતીને ધ્યાનમાં લેવામાં આવી છે અને અમે તેને મૂર્તિ પૂજાનું એક સ્વરૂપ માનીએ છીએ, જે નૈતિક રીતે અયોગ્ય છે અને અમારા ખ્રિસ્તી મૂલ્યોનું ઉલ્લંઘન છે. આ માટ કાર્યક્રમની મંજૂરી નથી આપવામાં આવી.
જ્યારે દેશમાં રહેતા હિન્દુ સમુદાયના સખત વિરોધને પગલે આદેશની ટીકા શરૂ થઈ ત્યારે મેનિંગે અગાઉના નિવેદનને ગંભીર અને કમનસીબ ભૂલ ગણાવીને માફી જારી કરી. મેનિંગે દાવો પણ કર્યો કે તેણે આદેશ લખ્યો નથી અને તે ધાર્મિક સ્વતંત્રતાનો આદર કરે છે. જો કે, ઓર્ડરના પત્ર પર તેમની સહી સ્પષ્ટ છે.
મેનિંગે નવા જાહેર કરેલા પત્રમાં કહ્યું કે, "પપુઆ ન્યૂ ગિની સરકારના પ્રતિનિધિ તરીકે હું આપણા દેશમાં ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો આદર કરું છું. મંજુરી ન આપવાનો નિર્ણય લોકોના ભેગા થવાના અને કોરોના ફેલાવાના જોખમને આધારે લેવામાં આવ્યો છે. સાથે સાથે મેનિંગે માફી માંગી છે અને પુષ્પેન્દુ મૈતા પાસેથી પ્રસ્તાવિત દુર્ગા પૂજાના સમયપત્રક વિશે વધુ માહિતી માંગી છે, જેથી તે વ્યક્તિગત રીતે તેનું મૂલ્યાંકન કરી શકે. ધ ઓસ્ટ્રેલિયન માટે વિદેશી બાબતો અને સંરક્ષણ સંવાદદાતા તરીકે કામ કરનારા બેન પેકહમે પોતાના સોશિયલ મીડિયા પેજ પર મેનિંગ દ્વારા સહી કરેલ પત્ર શેર કર્યો હતો.