ટ્વિટરમાં કર્મચારીઓની હકાલપટ્ટી બાદ હવે પાછા બોલાવવાની તૈયારી, પરંતુ શરત એ છે કે...
એલન મસ્ક ટ્વિટરના નવા બૉસ બન્યા પછી કંપનીમાં જૂના કર્મચારીઓની છટણી કરી અને નવા-નવા નિયમો લાવ્યા. જો કે હવે કર્મચારીઓને પાછા બોલાવવાના સમાચાર મળી રહ્યા છે.
એલન મસ્ક ટ્વિટરના નવા બૉસ બન્યા પછી કંપનીમાં જૂના કર્મચારીઓની છટણી કરી અને નવા-નવા નિયમો લાવ્યા. સમાચાર એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ એલન મસ્કે શુક્રવારે કંપનીના લગભગ અડધા કર્મચારીઓને નોકરીમાં કાઢી દીધા હતા. જો કે, હવે મીડિયા રિપોર્ટ મુજબ જે લોકોએ નોકરી ગુમાવી છે તેમાંથી અમુક કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ આ લોકોને એમ કહીને પાછા બોલાવવામાં આવી શકે છે કે આમને ભૂલથી કાઢવામાં આવ્યા અને મેનેજમેન્ટને તેમના કામ અને અનુભવની જરુર છે પરંતુ તેના માટે અમુક શરત છે.
સમગ્ર મામલાથી પરિચિત બે લોકોના જણાવ્યા મુજબ જે લોકોને ટ્વિટરમાં પાછા આવવા માટે કહેવામાં આવી રહ્યુ છે તેમાંથી અમુકને ભૂલથી હટાવી દેવામાં આવ્યા હતા. મેનેજમેન્ટને હવે એ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે તેમને નોકરીમાંથી હટાવવા માટે ઈમેલ કરવામાં આવી ચૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યુ કે ટ્વિટરમાં નવી સુવિધાઓના નિર્માણ માટે એ લોકોના કામ અને અનુભવની જરુર પડી શકે છે. જો કે કંપની દ્વારા કેટલા લોકોને ફરીથી ફોન કરવામાં આવ્યા છે તેની માહિતી બહાર આવી નથી. ટ્વિટરના પ્રવક્તાએ ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. કર્મચારીઓને છૂટા કરવાની ટ્વિટરની યોજનાની જાણ સૌ પ્રથમ પ્લેટફોર્મર દ્વારા કરવામાં આવી હતી.
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ એલન મસ્કે ટ્વિટર અધિગ્રહણ કર્યા બાદ ખર્ચમાં ઘટાડો કરવા અને કમાણી વધારવા માટે મેનેજમેન્ટે આ સપ્તાહે ઈમેલના માધ્યથી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે અમુક કર્મચારીઓને પાછા બોલાવવા માટે મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલા અનુરોધથી જાણવા મળ્યુ છે કે નોકરીમાંથી કાઢવાની પ્રક્રિયા ઉતાવળમાં કરવામાં આવી હતી. આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા મુજબ ટ્વિટર પર હજુ પણ લગભગ 3,700 કર્મચારીઓ બાકી છે. મસ્ક તે લોકોને પાછા લાવવા પર જોર આપી રહી છે જેઓ નવી સુવિધાઓ અને નિયમો સાથે કંપની સાથે જોડાયેલા રહેવા માંગે છે.