આતંકી હાફિઝ સઇદે પાક.ના વિદેશ મંત્રીને મોકલી માનહાનિની નોટિસ
જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદે પાકિસ્તાનના વિદેશ મંત્રી પર 10 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.
આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ અને 26/11 મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફને 10 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે. હાલમાં જ ન્યૂયોર્કમાં યોજાયેલ એશિયા સમિટમાં ખ્વાજા આસિફે જમાત-ઉદ-દાવાના જ સંગઠન લશ્કર-એ-તોયબા અને હક્કાની નેટવર્કને દેશ માટે બોજારૂપ ગણાવ્યા હતા. ખ્વાજા આસિફના આ નિવેદન પર ભડકેલ હાફિઝ સઇદે તેમને માનહાનિની નોટિસ ફટકારી છે. જમાત-ઉદ-દાવાના વકીલ એ.કે.ડોગારે પાકિસ્તાની માનહાનિ અધિનિયમ, 2002ના ભાગ 8 હેઠળ મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, હાફિઝ સઇદને એક ધાર્મિક અને સાચા મુસલમાન તરીકે સન્માનની નજરે જોવામાં આવે છે.
શું કહ્યું હતું ખ્વાજા આસિફે?
પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે ન્યૂયોર્કમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હક્કાની નેટવર્ક અને હાફિઝ સઇદની ઉપસ્થિતિ માટે અમને દોષી ન ઠેરવી શકાય. આજથી 20-30 વર્ષ પહેલાં આ સૌ વ્હાઇટ હાઉસના માનીતા હતા, તેમની વ્હાઇટ હાઉસમાં અવર-જવર હતી. તેઓ ત્યાં ખાતા-પીતા હતા, તેમને ઊભા કરવામાં વ્હાઇટ હાઉસે પોતાની ભૂમિકા નિભાવી છે અને હવે આ લોકોને કારણે પાકિસ્તાનની ટીકા કરવામાં આવે છે.
હાફિઝ સઇદની નોટિસ
હાફિઝ સઇદ દ્વારા મોકલવામાં આવેલ નોટિસમાં ખ્વાજાના આ આરોપોને ખોટા ઠરાવવામાં આવ્યા છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, સઇદ એક સાચો અને દેશભક્ત મુસલમાન છે. તે પોતાના પયગંબરના બતાવેલા રસ્તા પર ચાલે છે. પાકિસ્તાની વિદેશી મંત્રી સઇદને બદનામ કરવા માટે ખોટું બોલ્યા છે અને એનાથી માત્ર પાકિસ્તાન જ નહીં, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા સઇદના સમર્થકોની ભાવનાને ઠેસ પહોંચી હતી. આથી ખ્વાજા આસિફ પાસે 10 કરોડના વળતરની માંગ કરવામાં આવી છે.