રશિયામાં PM મોદીઃ 3 વર્ષો અને 7 હજારથી વધુ સુધારાના નિર્ણયો
પીએમ મોદીએ પોતાની રશિયાની મુલાકાત દરમિયાન સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ 2017નું સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે પેરિસ કરાર અંગે ડોનાલ્ડ ટ્રંપ અંગેના નિર્ણય પર પોતાનો પ્રતિભાવ પણ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાની મુલાકાતે છે, અહીં તેમણે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ 2017ને સંબોધિત કરી હતી. અહીં તેમણે પેરિસ કરારમાંથી અમેરિકાની પીછેહઠના ડોનાલ્ડ ટ્રંપના નિર્ણય અંગે કહ્યું કે, "આ મુદ્દે હું કોઇની વ્યક્તિની નહીં, આગામી પેઢીઓની તરફેણ કરીશ અને આ કરારને વળગી રહીશ."
ભારતની અર્થવ્યવસ્થા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી પ્રગતિ કરી રહી છે. ભારતમાં લાંબા ગાળા બાદ પૂર્ણ બહુમતવાળી સરકાર આવી છે. અમારી સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. અમારી સરકાર ન્યૂ ઇન્ડિયાનું સપનું લઇ આગળ વધી રહી છે. રેટિંગ એજન્સિએ ભારતને સૌથી ઝડપી પ્રગતિ કરતી અર્થવ્યવસ્થા ગણાવી છે."
3 વર્ષો, 7 હજારથી વધુ સુધારાના નિર્ણયો
"જુલાઇમાં ભારતમાં જીએસટી લાગુ થઇ જશે, જેનાથી વિદેશી રોકાણકારોને ફાયદો થશે. ભારતમાં ડીજિટલ ઇન્ડિયાનું આંદોલન ચાલી રહ્યું છે, જેનો ફાયદો દરેક વર્ગના લોકોને મળે એવો પ્રયાસ થઇ રહ્યો છે. જનધન અને આધાર જેવી યોજનાઓથી ગરીબોને ફાયદો થયો છે. અમારી સરકારને હજુ 1100 દિવસ પૂર્ણ પણ નથી થયા અને અમે 1200 કાયદાઓ પર પૂર્ણ વિરામ મુક્યું છે. આ ત્રણ વર્ષોમાં 7 હજારથી વધુ સુધારાના નિર્ણયો લેવાયા છે."
ખેતીમાં બીજથી બજાર સુધી ટેકનોલોજીનો ઉપયોગ
"હું રક્ષાના ક્ષેત્રે રોકાણ કરવા કંપનીઓને આમંત્રણ આપું છું. અમે ગરીબોને સસ્તા દરે દવાઓ આપવા માંગીએ છીએ. હું ઇચ્છું છું કે, દુનિયામાં મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીઓ ભારત આવે. આવતા નવેમ્બરમાં ફૂડ પ્રોસેસિંગ માટે અમે એક ગ્લોબલ સમિટનું આયોજન કરી રહ્યાં છીએ. હું ખેતીના મામલે બીજથી લઇને બજાર સુધી ટેક્નોલેજીના ઉપયોગ પર ભાર મૂકું છું. અમે સ્વચ્છ ભારત અભિયાન પણ ચલાવ્યું છે. ગંગાની સફાઇમાં અમે અધુનિક રોકાણ ઇચ્છીએ છીએ."
પર્યાવરણ સાથે છેડછાડ અપરાધ
પીએમ મોદીએ આગળ કહ્યું કે, "ભારત એક એવો દેશ છે, જે પહેલા પ્રયત્ને જ મંગળ ગ્રહ પર યાન પહોંચાડવામાં સફળ રહ્યો છે. એક હોલિવૂડ ફિલ્મ બનાવવામાં જેટલો ખર્ચ થાય એનાથી પણ ઓછા ખર્ચે ભારતે આ કામ કરી બતાવ્યું છે. ગુજરાત વિશ્વમાં ચોથી એવી સરકાર હતી, જેણે પર્યાવરણ માટે અલગ વિભાગ બનાવ્યો હતો. અમે ઉદ્યોગમાં ઝીરો ઇફેક્ટ અને ઝીરો ડીફેક્ટ પર કામ કરીએ છીએ. અમારો એક વેદ 'અથર્વવેદ' પર્યાવરણને સમર્પિત છે. પર્યાવરણ સાથે છેડછાડ અપરાધ છે. અમારા સર્વિસ સેક્ટરમાં પણ મોટો સ્કોપ છે. ભારતનો એક સાંસ્કૃતિક વારસો પણ છે, 5000 વર્ષ જૂની નગર રચના કોઇને જોવા હોય તો તેમણે ભારત આવવું જોઇએ."
રશિયા-પાક.ની જોઇન્ટ મિલિટ્રી ડ્રિલ્સ
આ પહેલાં ગુરૂવારે નરેન્દ્ર મોદીએ સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી હતી. ભારત અને રશિયા વચ્ચે થયેલ પરમાણુ કરારને કારણે આ મુલાકાત ઘણી ખાસ બની જાય છે. પીએમ મોદી સાથે થયેલ મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીટીઆઇ ને આપેલ ખાસ ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાન અંગે મહત્વપૂર્ણ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રશિયા અને પાકિસ્તાનની સેનાઓએ જોઇન્ટ મિલિટ્રી ડ્રીલ્સ કરી હતી, જેને કારણે દુનિયાના કેટલાક સુરક્ષા વિશેષજ્ઞોએ ભારત અને રશિયાના સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારત-રશિયા વચ્ચે વિશ્વાસના સંબંધોઃ પુતિન
પુતિને પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "રશિયાના પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારના રક્ષાના સંબંધ નથી અને જે એક્સરસાઇઝ થઇ તે પણ અન્ય સામાન્ય મિલિટ્રી ડ્રિલ્સ સમાન જ હતી. રશિયા દુનિયાના કોઇ પણ દેશ કરતાં ભારત સાથે ગાઢ સંબંધો ધરાવે છે. ભારત-રશિયાના સંબંધો પર પાક. સાથેના સંબંધની કોઇ અસર નહીં પડે. ભારત-રશિયા વચ્ચે વિશ્વાસનો સંબંધ છે, જે ઘણા વર્ષોથી યથાવત છે." તેમણે ભારત સાથે સર્વશ્રેષ્ઠ ડિફેન્સ ટેક્નોલેજી શેર કરવાની પણ ઇચ્છા જાહેર કરી હતી.
ભારત અને રશિયા વચ્ચે સુપર રોડ
પુતિનને કાશ્મીરમાં આતંકવાદ અંગે પણ પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે કહ્યું કે, "આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં રશિયા ડગલે ને પગલે ભારતનું સમર્થન કરે છે. રશિયા-ભારતની ગાઢ મૈત્રી છે, રશિયા ભારતની સમસ્યોઓને સમજે પણ છે અને તેનું સમર્થન પણ કરે છે." ભારત અને રશિયા વર્તમાનમાં એક સુપર રોડ પર કામ કરી રહ્યાં છે, જેના દ્વારા ભારત અને રશિયા મધ્ય યુરોપ સાથે જોડાશે. આ રોડ દ્વારા બંન્ને દેશોની અર્થવ્યવસ્થા અને બજારને પણ પ્રોત્સાહન મળશે. કહેવાઇ રહ્યું છે કે, આ સુપર રોડ ચીન અને પાકિસ્તાન વચ્ચેના ઓબીઓઆર(વન બેલ્ડ વન રોડ)નો જવાબ છે.