India US Trade Deal 2026 : ભારત-યુએસ ડીલ વચ્ચે ટ્રમ્પની વધુ એક ધમકી, 43% ટેરિફની વાત કરી
ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી વેપાર ડીલ હવે વિવાદોમાં સપડાઈ છે. ૨ ફેબ્રુઆરીએ થયેલા આ કરાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ પેનલ્ટી ટેરિફ હટાવવાની જાહેરાત કરી હતી. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશ સાથે રશિયા પાસેથી તેલ ન ખરીદવાની શરત મૂકી છે. આ કડક શરતને કારણે ભારત માટે આગામી સમયમાં રશિયા સાથેના સંબંધો કસોટી સમાન બનશે.

ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ ભારતે રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદી બંધ કરવી પડશે. જો ભારત આ શરતનો ભંગ કરશે તો અમેરિકા ફરી ૨૫ ટકા પેનલ્ટી ટેરિફ લાદી શકે છે. આટલું જ નહીં, જો ભારત તેલ ખરીદી ચાલુ રાખશે તો કુલ ટેરિફ વધીને ૪૩ ટકા થઈ શકે છે. આ આદેશ બાદ અમેરિકી એજન્સીઓ ભારતની ઓઈલ ખરીદી પર સતત નજર રાખશે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ભારત સરકારે કોઈ બાંધછોડ કરી નથી. તેમણે દાવો કર્યો કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવાયો છે. ચોખા, ઘઉં અને ખાંડ જેવા પાયાના કૃષિ ઉત્પાદનોને આ વેપાર સોદામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. સરકારના મતે ભારતીય બજારો સુરક્ષિત છે અને ખેડૂતોને કોઈ નુકસાન થશે નહીં.
બીજી તરફ, રશિયા પાસેથી તેલ ખરીદી મામલે વિદેશ મંત્રાલયે ભારતના હિતોને સર્વોપરી ગણાવ્યા છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે દેશના ૧૪૦ કરોડ લોકોની ઉર્જા જરૂરિયાતો સૌથી મોટી પ્રાથમિકતા છે. વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર જાહેર થયેલા દસ્તાવેજોમાં મલ્ટીલેયર મોનિટરિંગની વાત કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ અમેરિકા ભારતના તમામ વેપારી વ્યવહારોની કડક તપાસ કરી શકશે તેવું જણાય છે.
આ સોદાની સંપૂર્ણ શરતો હજુ જાહેર ન થતા વિપક્ષ અને નિષ્ણાતોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટ્રમ્પની સીધી ધમકી છતાં ભારત સરકારની શાંતિ અત્યારે ચર્ચાનો વિષય બની ગઈ છે. કરારના વિરોધમાં અને ખેડૂતોના હિતોની રક્ષા માટે વિવિધ સંગઠનોએ ૧૨ ફેબ્રુઆરીએ 'ભારત બંધ'નું એલાન આપ્યું છે. આગામી દિવસોમાં આ મામલે સરકાર શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.












Click it and Unblock the Notifications
