"ઉ.કોરિયા અને પાક. વચ્ચેના પરમાણુ સંબંધોની તપાસ જરૂરી"
ભારત દ્વારા મંગળવારે પાકિસ્તાન તરફ ઇશારો કરતા કહેવામાં આવ્યું હતું કે, ઉત્તર કોરિયાના પરમાણુ પ્રસાર કાર્યક્રમનો સંપર્ક કયા દેશો સાથે છે, એની તપાસ થવી જોઇએ.
ભારત દ્વારા મંગળવારે પાકિસ્તાન તરફ ઇશારો કરતા કહેવામાં આવ્યું હતું કે, ઉત્તર કોરિયાના પરમાણુ પ્રસાર કાર્યક્રમનો સંપર્ક કયા દેશો સાથે છે, એની તપાસ થવી જોઇએ. ભારતનું આ નિવેદન ગત અઠવાડિયાના ઉત્તર કોરિયાના બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ પછી આવ્યું છે, ઉત્તર કોરિયાએ આ પરીક્ષણમાં જાપાન ઉપરથી મિસાઇલ છોડી હતી. આંતરરાષ્ટ્રીય નિયમો નેવે મુકી 3 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કોરિયાએ હાઈડ્રોજન બોમ્બનું પણ પરીક્ષણ કર્યું હતું, જેને કારણે ત્યાં 6.3 રેક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના ઝાટકા પણ અનુભવાયા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ અંગે જણાવ્યું કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઉત્તર કોરિયાની વર્તમાન કામગીરીની નિંદા કરી હતી તથા ઉત્તર કોરિયાના પરમાણુ પ્રસાર કાર્યક્રમનો સંપર્ક કયા દેશો સાથે છે, તેની તપાસ કરવાની માંગ સાથે દોષી જણાતા દેશોની જવાબદારી નક્કી કરવાની પણ વાત કરી હતી.
સુષ્મા સ્વરાજે મંગળવારે અમેરિકાના વિદેશ મંત્રી રેક્સ ટિલરસન અને જાપાનના વિદેશ મંત્રી તારો કોનો સાથે થયેલ ત્રિપક્ષીય બેઠકમાં આ વાત કહી હતી. જો કે, સુષ્મા સ્વરાજે સ્પષ્ટ રીતે પાકિસ્તાન કે અન્ય કોઇ દેશનું નામ નહોતું લીધું. ઉલ્લેખનીય છે કે, ક્યૂ.ખાન જ્યારે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમોના પ્રમુખ હતા ત્યારે પાકિસ્તાન તરફથી ઉત્તર કોરિયાને ગુપ્ત રીતે પરમાણુ ટેક્નિકો પહોંચાડવામાં આવી હતી. આ ત્રિપક્ષીય બેઠકમાં ત્રણેય નેતાઓએ સમુદ્રી સીમાની સુરક્ષા અને કનેક્ટિવિટી જેવા મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. ત્રણેય દેશો વચ્ચેની ત્રિપક્ષીય બેઠક વર્ષ 2011થી થાય છે.