ભારત-અમેરિકાથી ફફડી ઊઠ્યો દાઉદ, બદલી નાખ્યું ઠેકાણું: સૂત્ર
ઇસ્લામાબાદ, 27 ઓક્ટોબર: ગુપ્તચર સૂત્રો અનુસાર ભારતના મોસ્ટ વોંટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમે પોતાનું ઠેકાણું બદલી નાખ્યું છે. સૂત્રો અનુસાર દાઉદને હવે પાકિસ્તાનના કરાચી સ્થિત ઠેકાણાથી હટાવીને પાક-અફગાનિસ્તાન સરહદની કોઇ અજાણી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ હાલમાં પોતાના નજીકના માણસોને પણ નથી મળી રહ્યો.
સૂત્રો અનુસાર આતંકવાદ પર લગામ લગાવવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલના અમેરિકન પ્રવાસની વચ્ચે બંને દેશોમાં સમજૂતી થઇ હતી. આ કારણે જ દાઉદે પોતાનું ઠેકાણું બદલ્યું છે. આતંકવાદની વિરુદ્ધ ભારત અને યૂએસની પહેલથી દાઉદ ચિંતામાં આવી ગયો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. તેને એ વાતનો ડર છે કે ભારત-અમેરિકા જોઇંટ ઓપરેશન ચલાવીને તેને પકડી શકે છે.
અમેરિકાએ દાઉદને ગ્લોબલ આતંકવાદીઓની લિસ્ટમાં મૂકી દીધો છે. ગુપ્તચર સૂત્રો અનુસાર, દાઉદ છેલ્લા વીસ વર્ષથી પાકિસ્તાનમાં છે, પરંતુ અત્યાર સુધી ભારત સરકાર અને દુનિયાની કોઇ પોલીસ દાઉદને પકડી નથી શકી, કારણ કે દાઉદને પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓનો આશરો પ્રાપ્ત છે.