For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ : પાકિસ્તાનના એ પાંચ કેદીઓ કોણ હતા અને અટકાયત કેન્દ્રમાં કેવી રીતે થયું મૃત્યુ?

કચ્છ : પાકિસ્તાનના એ પાંચ કેદીઓ કોણ હતા અને અટકાયત કેન્દ્રમાં કેવી રીતે થયું મૃત્યુ?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

પ્રતિકાત્મક તસ્વીર
Click here to see the BBC interactive

"ખાલિદ હવે નથી રહ્યા? શું તમે ખાતરીપૂર્વક આ કહી રહ્યા છો?," મનોચિકિત્સક મહેશ તિલવાનીએ નવાઈ પામતા પૂછ્યું.

માનિસક રીતે બીમાર ખાલિદની માહિતી મેળવવા માટે બીબીસીની ટીમ ગયા મહિને તેમની હૉસ્પિટલ ગઈ હતી.

ગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજ શહેરમાં એક અટકાયત કેન્દ્ર છે જેને જોઇન્ટ ઇન્ટેરોગેશન સેન્ટર અથવા જેઆઈસી કહેવામાં આવે છે.

પાછલાં ત્રણ મહિનામાં અહીં માનસિક બીમારીથી પીડિત કથિત પાંચ પાકિસ્તાની નાગિરકો મૃત્યુ પામ્યાં છે. સૌથી છેલ્લે ખાલિદનું 13 જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું હતું.

ડૉ. તિલવાની લાંબા સમયથી ખાલિદ અને જેઆઈસીના અટકાયતમાં રહેતા બીજા કથિત પાકિસ્તાનીઓની સારવાર કરતા હતા.

ડૉ. તિલવાની કહે છે કે તેઓ ખાલિદને બહુ સારી રીતે ઓળખતા હતા.

"આ સાંભળીને મને નવાઈ લાગે છે. તમને ખબર છે કે મને કેમ નવાઈ લાગી રહી છે? કારણે તેઓ એકદમ યુવાન હતા. તેઓ આશરે ચાળીસ વર્ષના હતા."

ભારત સરકાર દાવો કરી રહી છે કે જ્યારે આ પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી ત્યારે તેઓ માનસિક રીતે કમજોર હતાં અને ભારત -પાકિસ્તાન સરહદની બહુ નજીક હતાં.

અધિકારીઓ મુજબ ધરપકડ પહેલાં પાંચેય વ્યક્તિઓ જે બીમારીઓથી પીડાઈ રહ્યાં હતાં તેના કારણે તેમનું મૃત્યુ થયું છે અથવા તો બધા કુદરતી કારણોથી મૃત્યુ પામ્યાં છે.

બીબીસી સ્વતંત્ર રીતે આ દાવાઓની પુષ્ટિ કરી શક્યું નથી.

આ અટકાયત કેન્દ્ર કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંહના અધિકારક્ષેત્રમાં આવે છે.

તેઓ કહે છે, "આ કેદીઓની બીએસએફ (સીમા સુરક્ષાદળ) દ્વારા સરહદના જુદાં-જુદાં વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ભારતીય સરહદની બહુ નજીક આવી ગયાં હતા અથવા તો તેઓ સરહદ ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. 10 અથવા 12 વર્ષ પહેલાં તેમની ધરપકડ કરવામાં આવી હતી."

ચેકપોસ્ટ

ખાલિદ પહેલાં 60 વર્ષના કરીમનું 11 જાન્યુઆરી 2021ના રોજ મૃત્યુ થયું હતું. તેઓ 2013થી જેઆઈસીમાં બંધ હતા.

32 વર્ષના જાવેદ યકીમ ડિસેમ્બર 2020 મૃત્યુ પામ્યા હતા. 19 નવેમ્બર 2020ના રોજ 45 વર્ષના મુનવ્વરનું મૃત્યુ થયું હતું. તેઓ 2014થી જેઆઈસીમાં હતા.

50 વર્ષના પરવેઝનું 4 નવેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. 2016માં કચ્છ સરદહથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જેઆઈસીના અધિકારીઓ દાવો કરી રહ્યાં છે કે મુનીર નામની વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. અધિકારીઓ મુજબ પાંચેય વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

બીબીસીએ મૃતકોનાં નામ બદલી નાખ્યાં છે કારણ કે હજુ સુધી ખબર નથી કે તેમનાં પરિવારના સભ્યોને તેમના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા છે કે નહીં.

ત્રણ લોકોનાં મૃતદેહને જેઆઈસીથી 250 કિલોમિટર દુર જામનગરના એક શબગૃહમાં રાખવામાં આવ્યાં છે.

જોકે, ભારતીય અધિકારીઓ કહી રહ્યાં છે કે પરવેઝ નામની વ્યક્તિનો મૃતદેહ પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યો છે પરતું પાકિસ્તાન સરકારે હજુ સુધી બીબીસી સાથે આ વાતની પુષ્ટિ કરી નથી.

એમ તો ખાલિદની પણ સારવાર ચાલી રહી હતી પરતું એ વાતની માહિતી નથી મળી શકી કે તેમને કઈ માનસિક બીમારી હતી.

13 જાન્યુઆરીએ ભૂજની એક હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 2009માં કચ્છની સરહદ નજીક આવેલ એક વિસ્તારમાંથી તેમની અટકાયત કરવામાં આવી હતી.

સુત્રો અને મીડિયા અહેવાલો મુજબ તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીન વિસ્તારના હતા. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદથી અમુક કિલોમિટર જ દુર છે.

જોકે આ વ્યક્તિઓના મૂળ નિવાસ અંગેની માહિતીને ગુપ્ત ગણાવીને ભારતીય અધિકારીઓ તે વિશે કઈ પણ કહેવાનો ઇન્કાર કરે છે.

https://twitter.com/bbcnewsgujarati/status/1363825673471627266

ભારતીય અધિકારીઓ કહે છે કે પાકિસ્તાનની સરકારને આ મૃત્યુ વિશે માહિતી આપવામાં આવી છે પણ ભારતસ્થિત પાકિસ્તાન દૂતાવાસ અને ઇસ્લામાબાદમાં આવેલ વિદેશ મંત્રાલયની કચેરીએ પણ આ મામલે કોઈ જવાબ આપ્યો નથી.

આવી પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિની ઓળખ અથવા ઘરનું સરનામું વિશે માહિતી ન હોય અને પાકિસ્તાની સરકાર મૃતદેહ ન સ્વીકારે તો ભારત સરકાર દ્વારા ભારતમાં મૃતદેહની દફનવિધિ કરવામાં આવે છે.

દાખલા તરીકે 2019માં આ કેન્દ્રમાં રહેતા માનસિક રીતે કમજોર કથિત પાકિસ્તાની નાગરિકનું મૃત્યુ થયું હતું. ભારતીય ગૃહ મંત્રાલય મુજબ પાકિસ્તાન મૃતકની ઓળખની પુષ્ટિ કરી શક્યું નહોતું અને મૃતહેદને સ્વીકાવાની ના પાડી દીધી હતી.

ભૂજસ્થિત એક કબ્રસ્તાનમાં ધાર્મિક રીતિ-રિવાજ સાથે વ્યક્તિને દફનાવવામાં આવી હતી. 2019માં ભારતે પોતાના ત્યાં બંધ પાકિસ્તાની નાગિરકોની એક યાદી પાકિસ્તાન સરકારને આપી હતી.

યાદી મુજબ 249 પાકિસ્તાની નાગરિકો ભારતમાં બંધ છે જ્યારે 537 ભારતીયો પાકિસ્તાનની અટકાયતમાં છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે કામ કરતી સંસ્થા આગાઝ-એ-દોસ્તી દ્વારા આપવામાં આવેલ યાદી અનુસાર તેમાં માછીમારોની સંખ્ચા સૌથી વધારે છે જેમને ગુજરાત અને સિંધમાં બંને દેશોના નૌકાદળ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં.

જોકે ગુજરાત અને સિંધ તટ પર આવેલ વિવાદિત સરક્રિક વિસ્તારમાં બંને દેશોના માછીમારોની ધરપકડ થવી સામાન્ય વાત છે, પરતું આ પાંચેય મૃતકોની અટકાયત ગુજરાત અને સિંધ વચ્ચે જમીન સરહદથી અટકાયત કરવામાં આવી હતી.


સરહદ પરની સ્થિતિ

કચ્છ સરહદ

ગુજરાતમાં બૉર્ડર રેન્જના પૂર્વ ઇન્સપેક્ટર જનરલ એ. કે. જાડેજા કહે છે કે "અગાઉ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર દાણચોરી થવી સામાન્ય વાત હતી. સોના, ચાંદી અને ખાદ્ય વસ્તુઓની પણ દાણચોરી થતી હતી. એક સમયે પાનનાં પત્તાની પણ દાણચોરી થતી હતી. તે વખતે જમીન સરહદ પર વાડબંધી નહોતી માત્ર થાંભલાઓ હતા. પરંતુ હવે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. અમુક કિલોમિટરને બાદ કરતા ભારતે પાકિસ્તાન સાથેની પોતાની સરહદ પર કાંટાળા તાર પાથરી દીધા છે.

"આ સાથે સરહદ પર ચોકસાઈ વધારી દેવામાં આવી છે, જેના કારણે ભૂલથી સરહદ ઓળંગવાની ઘટનાઓ ઘણી ઓછી થઈ છે. "

તેઓ વધુમાં કહે છે કે, "મને લાગે છે કે ખાસ કરીને બંને તરફથી નબળા લોકો સરહદની નજીક ફરતાં રહેતા હતા અથવા તો સરહદ ઓળંગી દેતા હતા અને પકડાઈ જતા હતા."

તેઓ જણાવે છે કે જેઆઈસીમાં આવતાં માનસિક રીતે કમજોર લોકો સ્થાનિક વિસ્તાર અને ભાષા વિશે માહિતી ધરાવતા નથી. ભારત-પાકિસ્તાન સરહદ નજીકનો વિસ્તાર, ખાસ કરીને ભારતીય ક્ષેત્રનો વિસ્તાર, આવવા-જવાની બાબતે ઘણો મુશ્કેલ છે. આ બહુ મોટો વિસ્તાર છે અને અહીં પાણીની અછત છે, જેના કારણે ઘણીવખત સામાન્ય લોકો ભટકાઈ જાય છે અને દિશાભ્રમ થઈ જવાનું જોખમ રહેલું છે. જો કોઈ વ્યક્તિ માનસિક રીતે કમજોર હોય તો તેની માટે આ જોખમ વધી જાય છે. "

https://twitter.com/bbcnewsgujarati/status/1363345375973806080

આવા 100થી વધુ વ્યક્તિઓ હાલ જેઆઈસીની કસ્ટડીમાં છે, જેમણે ભૂલથી અથવા ગેરકાયદેસર રીતે બોર્ડર ઓળંગી છે અથવા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતમાં પ્રવેશ કર્યો છે.

અધિકારીઓ કહે છે કે, 100 વ્યક્તિઓમાં આશરે વીસ પાકિસ્તાનીઓ છે અને તેમાંથી ઓછામાં-ઓછી આઠ વ્યક્તિઓ માનસિક રીતે બીમાર છે. બીજા ઘણા દેશોનાં નાગરિકો પણ જેઆઈસીની કસ્ટડીમાં છે.

જેઆઈસીમાં આશરે 22 એજન્સીઓ અટકાયત કરવામાં આવેલા વ્યક્તિઓની પૂછપરછ કરે છે. આવી જ તપાસના આધારે ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે કે મૃતક પાંચ વ્યક્તિઓ પાકિસ્તાની નાગરિક હતા અને તેઓ માનસિક રીતે કમજોર હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટાભાગની સરહદ પર બીએસએફ દ્વારા નજર રાખવામાં આવે છે. તેમની જાસૂસી પાંખ ટેકનૉલૉજીની મદદથી જમીનથી સરહદ પાર કરનાર વ્યક્તિઓને શોધી કાઢે છે.

પરતું ભારતીય સરહદની અંદર કોઈ પણ વ્યક્તિને વિદેશી અથવા તેમની નાગિરકતા પુરવાર કરવી સહેલી હોતી નથી. જો વ્યક્તિ પાસે ઓળખપત્ર ન હોય તો સુરક્ષાદળો અને જાસૂસી ટીમો બીજી પદ્ધતિનો ઉપયોગ કરે છે એ જરૂરી નથી કે તે સાચું પરિણામ આપે. દાખલા તરીકે સરહદથી ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિની ઓળખ માટે સુરક્ષા અધિકારીઓ તેમને વિવિધ દેશોની ચલણી નોટો પણ દેખાડે છે.

ગયા વર્ષે નિવૃત્તિ પહેલાં ઇન્સ્પેક્ટર ગુલાબસિંહ જાડેજા પંદર વર્ષ સુધી જેઆઈસીના વડા હતા. માનસિક રીતે બીમાર અથવા લાચાર વ્યક્તિઓ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, 'તમે કોઈને ઓળખી ન શકો પરંતુ તમે ચલણને ઓળખી શકો છો. અમે બધી ચલણી નોટો તેમની સામે મૂકીએ છીએ. બીજી વાત એ છે કે અમે તેમની સામે (જુદાં જુદાં) ધ્વજ પણ મૂકીએ છીએ. ઘણી વખત તેઓ તેને ઓળખી કાઢે છે.

આઈ.કે.જાડેજા કહે છે કે 'ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિની આવવાની દિશા પણ સુરક્ષાદળોને તેમની નાગરિકતા ઓળખવામાં મદદ કરે છે. સરહદ પર પગી હોય છે. તેઓ પદચિન્હો શોધે છે કે આ વ્યક્તિ કયા વિસ્તારમાંથી આવ્યો છે.

કચ્છ સરહદ

તેમની બોલીમાં પણ કહી આપે છે કે તેઓ કઈ જાતિ-સમૂહનાં છે. આ સિવાય જુદી જુદી એજન્સીઓ તપાસ કરે છે અને મનોવૈજ્ઞાનિકોની પણ સલાહ લેવામાં આવે છે કે ધરકપકડ કરવામાં આવેલ વ્યક્તિ જાસૂસ છે અથવા માનસિક રીતે કમજોર છે. મૃત્યુ પામનાર વ્યક્તિઓની જ્યારે અટકાયત કરવામાં આવી હતી ત્યારે સુરક્ષા એજન્સીઓએ પણ તેમની સાથે આ જ પ્રક્રિયા કરી હતી.

ડો.તિલવાણીના મુજબ આ માટે એક સરળ પ્રોટોકોલ છે. જાસૂસ વ્યક્તિ જાણીજાઈને અસામાન્ય વર્તન કરશે અને વાસ્તવિક માનસિક દરદી સતત સામાન્ય વર્તન કરશે. સામાન્ય વ્યક્તિનો વ્યવહાર સારો હશે અને તે એક સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરશે. બીમાર વ્યક્તિની અભિવ્યક્તિ સુસ્ત હશે જ્યારે સામાન્ય વ્યક્તિની અભિવ્યક્તિથી તેમની હકીકત બહાર આવી જશે.

ભારતીય પોલીસના એક પૂર્વ અધિકારીએ એક અસામાન્ય પદ્ધતિ શોધી કાઢી છે જેનો ઉપયોગ જાસૂસોની ઓળખ માટે અથવા માનસિક સંતુલન ગુમાવનાર વ્યક્તિઓની ઓળખની પુષ્ટિ કરવા માટે ક્યારેક-ક્યારેક કરવામાં આવે છે.

તેઓ કહે છે, 'તબીબી વિજ્ઞાનમાં એટલું બધું છે કે તેઓ તમને એક ગોળી આપશે. જો તમે ગાંડા હશો તો ચૂપ થઈ જશો. જો તમે ગાંડા નથી, તો તમારું પેટ બગડી જશે, ઊલટી થઈ જશે, ખબર પડી જશે કે તમે નાટક કરી રહ્યા છો.

જેઆઈસી સાથે સંકળાયેલા ઘણા લોકોએ બીબીસીને જણાવ્યું કે અટકાયતમાં લેતા પહેલાં તેમની વિચારશક્તિ ખતમ થઈ ગઈ હતી અને આ વ્યક્તિઓ એવી સ્થિતિમાં હતી કે તેમને પોતાની શારીરિક જરૂરિયાતો વિશે પણ અંદાજ નહોતો.


કેવી હતી એમની હાલત

મનોચિકિત્સક મહેશ તિલવાની

અટકાયત કેન્દ્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કહે છે કે, 'વધારે જમવા માટે આપો તો જમી લેતાં હતાં અને ઓછું જમવા આપો તો ઓછું જમતાં હતાં. જેટલું આપશો એટલું ચાલશે. બીજી વખત નહીં માગે. બીજી વ્યક્તિઓ પણ જમવાનું આપતી હતી અને તેમનું પેટ બગડી જતું હતું. તેઓ પોતાના કપડાં પણ બગાડી નાખતાં હતાં.

તેઓ વધુમાં જણાવે છે કે, 'જો તેઓ આ ઠંડી ઋતુમાં રાત્રે પેશાબ અથવા શૌચ કરતાં હતા તો તે વિશે કર્મચારીઓને જણાવવા માટે કોઈ નહોતું કારણ કે કસ્ટડીમાં તેમના સાથીઓ પણ ઊંઘતા રહેતા હોય. આખી રાત ભીના રહેવાને કારણે તેમને ઠંડી લાગી જતી હતી.

પોતાનો જીવ ગુમાવનારા પાંચ લોકોમાં મુનીર નામની વ્યક્તિ ઉપરાંત બીજા ચાર વ્યક્તિઓને પણ મૃત્યુ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે તેમને શ્વાસ લેવામાં તકલીફ શરદી થવાને કારણે હતી અથવા કોરોના વાઇરસના કારણે.

હૉસ્પિટલ અને પોલીસ અધિકારીઓએ આ લોકોનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવા અથવા તેને દેખાડવાં માટે ધરાર ના પાડી દીધી.

જેઆઈસીના અધિકારીઓ મુજબ પાંચેય વ્યક્તિઓનાં મૃત્યુ કોરોના વાઇરસના કારણે થયા હોવાની વાતનો ઇન્કાર કરે છે. તેઓ દાવો કરે છે કે જેઆઈસીમાં પોલીસ અધિકારીઓ અને કેદીઓ સાથે રહે છે અને જો કોરોના વાઇરસ થયો હોત તો બધા તેના સંકજામાં આવી ગયા હોત.

અટકાયત કેન્દ્રની મુલાકાત લેવા દેવાની બીબીસીની વિનંતીને અધિકારીઓએ એમ કહીને ફગાવી દીધી કે ત્યાં કોઈને જવાની પરવાનગી નથી. તેમણે કહ્યું કે અહીં કોઈ અધિકારીના નિવૃત્તિ કાર્યક્રમમાં પણ ફોટો લેવાની પરવાનગી આપવામાં આવતી નથી.

ઓછા સમયગાળામાં પાંચ વ્યક્તિઓની મૃત્યુથી ઘણા પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ અધિકારીઓ દાવો કરે છે કે તેઓ કેદીઓ સાથે સારી રીતે વર્તન કરે છે.

જેઆઈસીના પૂર્વ અને હાલના અધિકારીઓ કહે છે કે તેઓ ઘણીવાર કેદીઓ સાથે ક્રિકેટ, વૉલીબૉલ અને કૅરમ જેવી રમત પણ રમે છે.

ગુલાબ જાડેજાએ કહે છે કે, તેઓ ઘણી વખત માનસિક રીતે કમજોર કેદીઓ સહિત બીજા બધા કેદીઓને સંગીત સાંભળવાં બેસાડતાં હતા. મને સંગીતનો શોખ હતો અને બધાને નાચવા માટે કહેતો હતો. તેઓ પોતપોતાની રીતે નૃત્ય કરતાં. તેઓ બોલી શકતાં નહોતાં પરતું સંગીતની ભાષાને સમજી શક્તાં હતાં.

મૃત્યુ પામેલાં લોકોમાં સામેલ ખાલિદ જુલાઈ 2009થી કસ્ટડીમાં હતા. તેઓ જેઆઈસીમાં સૌથી લાંબા સમય સુધી બંધ હતા.

ગુલાબ જાડેજા દાવો કરે છે કે ખાલિદના પરિવારના સભ્યોની માહિતી મેળવવા માટે ભારત સરકારે પાકિસ્તાની ટીવી ચેનલો પર જાહેરાત પણ આપી હતી. આ લોકો સારવાર માટે ડૉક્ટર તિલવાણીને ઘણી વખત મળતા હતા અને તેઓ તે બધાને સારી રીતે ઓળખતા હતા.

'જે વ્યક્તિઓને તમે દર મહિને જોવો છો તેમની સાથે એક પ્રકારનું જોડાણ થઈ જાય છે. હું ખાલિદને વ્યક્તિગત રીતે ખૂબ સારી રીતે ઓળખતો હતો. અમે બધાએ તેમના માટે સખત મહેનત કરી હતી.''

તેઓ કહે છે, 'તેઓ કંઈ બોલતા નહોતા. પછી અમે તેમને અમદાવાદની હૉસ્પિટલમાં મોકલ્યા જ્યાં તેઓ થોડું-થોડું બોલ્યા હતા.'

પરંતુ તેમણે એમ પણ કહ્યું કે ખાલિદના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત છે. તે યુવાન હતો, મને ખબર નથી કે છેવટે તેની સાથે શું થયું.'

ફૂટર

https://youtu.be/pEWghuehs-g

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Kutch: Who were the five prisoners of Pakistan and how did they die in the detention center?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X