કેન્દ્રિય કેબિનેટમાં ફેરફારની તૈયારીમાં મોદી સરકાર? જાણો શું છે હકીકત?
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલની ચર્ચા છે.
નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર બહુ જલ્દી તેની કેબિનેટમાં મોટા ફેરફાર કરી શકે છે. સામે આવી રહેલી વિગતો અનુસાર મોદી સરકારની કેબિનેટમાં ઉતરાયણ બાદ બજેટ પહેલા ફેરફાર થઈ શકે છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે આ ચર્ચાએ જોર પકડ્યુ છે. અહીં એક વાત ઉલ્લેખનિય છે કે, એનડીએની બીજી ટર્મમાં સરકારના કાર્યકાળમાં માત્ર એક જ વાર ફેરબદલ કરાયો છે અને ઘણા મંત્રીઓના પદ ખાલી છે.
આ વર્ષે 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને 2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે. આ સ્થિતિમાં ભાજપ પોતાની રાજકીય જરૂરિયાતો અનુસાર સત્તા અને સંગઠનમાં ફેરફાર કરવાનું વિચારી શકે છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલની ચર્ચા છે. આગામી વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીની આ બેઠક મહત્વપૂર્ણ છે.
આવતા મહિને મોદી સરકાર તેના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ પણ રજૂ કરવા જઈ રહી છે. આ સ્થિતિમાં આ મહિને કેબિનેટમાં ફેરબદલની શક્યતા પણ વધી ગઈ છે. આ ફેરબદલ મંત્રીઓની કામગીરી અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી શકે છે.
મનાઈ રહ્યું છે કે, સંભવિત કેબિનેટ ફેરબદલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક જીત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી અને દિલ્હીની MCD ચૂંટણીમાં શીખેલા પાઠથી પ્રભાવિત હોઈ શકે છે. આ સિવાય કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતાના ચૂંટણી વાળા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર થઈ શકે છે.
આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 15 મહિના પછી આગામી સામાન્ય ચૂંટણી સાથે તેમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. આ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનો છેલ્લો ફેરફાર હોવાની સંભાવના છે. બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ બદલાયેલા રાજકીય સમીકરણની અસર આ ફેરબદલમાં જોવા મળી શકે છે.
હાલ એવી પણ ચર્ચા છે કે કેટલાક મોટા મંત્રીઓને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાંથી કેટલાક નેતાઓને સરકારમાં લાવવામાં આવી શકાય છે. જ્યારે પણ પીએમ મોદીએ મંત્રી પરિષદમાં ફેરફાર કર્યો છે ત્યારે તેમાં ઘણા ચોંકાવનારા ચહેરા જોવા મળ્યા છે. આવી જ રીતે કેટલાક ચોંકાવનારા લોકોને બહાર પણ કરાયા છે.