સીરિયાઃ કેમિકલ હુમલામાં 100ની મોત, 400થી વધુ ઘાયલ
કેમિકલ હુમલામાં મરનારાની સંખ્યામાં વધારો થઇ શકે છે. ઇજાગ્રસ્તોની હાલત અત્યંત ગંભીર છે. મૃતકો અને ઇજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
સીરિયા માં ફરી એકવાર સામાન્ય જનજીવનને ધરમૂળથી હલાવી નાંખતી ભાયવહ ઘટના ઘટી છે. મંગળવારે ઉત્તર પશ્ચિમ સ્થિત ઇડલિબના કેટલાક વિસ્તારોમાં સંદિગ્ધ કેમિકલ હુમલા થયા હતા. આ હુમલામાં 100થી વધુ લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે 400થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. સીરિયાના મેડિકલ રિલીફ ગ્રુપ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ
કેમિકલ હુમલાના મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે, કારણ કે મોટી સંખ્યામાં ઘાયલ થયેલા લોકોમાં ઘણાની હાલત ગંભીર છે. મૃતકો અને ઇજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. મેડિકલ રિલીફ ગ્રુપ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર દક્ષિણ ઇડલિબના ખાન શેખૌન ગામમાં પહેલા હુમલો થયો હતો અને ત્યાર બાદ આ પ્રાંતના બીજા કેટલાક સ્થળોએ પણ હુમલો થયો હતો.
સાંજે 6.30 પછી 40 હુમલા
મીડિયાના અહેવાલો અનુસાર, સાંજે 6.30 વાગ્યા પછી લગભગ 40 હુમલા થયા હતા. હુમલાની સંખ્યા વધવાની સાથે જ મૃતકોની સંખ્યા પણ વધતી ગઇ. જે વિસ્તારોમાં આ હુમલા થયા છે, તે વિદ્રોહીઓના કબજા હેઠળ છે. સીરિયાની સેનાએ અહીં કોઇપણ પ્રકારના કેમિકલ હથિયારના ઉપયોગ કે આવા કોઇ હુમલા કર્યા હોવાની વાતને નકારી છે.
સંયુક્ત રાષ્ટ્રએ વ્યક્ત કરી ચિંતા
હુમલા બાદ સીરિયાના આ પ્રાંતની પરિસ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી છે તથા આ હુમલાની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું કે, આ ખૂબ દુઃખદ અને ચિંતાજનક ઘટના છે. સામાન્ય નાગરિકો પર કેમિકલ હથિયારોથી હુમલો કરવો એ એક ચેતવણી છે. આનાથી જનજીવનની શાંતિ જોખમમાં મુકાઇ છે તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ ચિંતાની વાત છે.
રશિયાએ નથી કર્યો હુમલો
રશિયાના રક્ષા મંત્રાલયે પણ કોઇપણ પ્રકારના હુમલાની વાતને નકારી છે. આથી હાલ એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે, આ હુમલાઓ કોણે કર્યા છે. વિદ્રોહીઓના કબજાના વિસ્તારોમાં આ હુમલા થયા છે. આ મામલે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાય એવી સંભાવના છે.
અહીં વાંચો