નેલ્સન મંડેલાના પુત્રોના શબ કબરમાંથી બહાર કાઢી દેવાયા
આ દરમિયાન પોલીસે અદાલતના આદેશ બાદ મંડલા મંડેલાના ફાર્મ હાઉસમાંથી નેલ્સન મંડેલાના બાળકોના શબ કબરમાંથી ખોદીને બહાર કાઢી દીધા છે. આદેશ અનુસાર હવે આ શબોના અવશેષોને ફાર્મ હાઉસમાંથી કાઢીને પાસે આવેલા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે આ શબોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. આ વિવાદમાં નેલ્સન મંડેલાના પૌત્ર મંડલા મંડેલા પર આરોપ છે કે તેણે પરિવારની મંજૂરી વિના જ પેલા શબોને તેમની કબરોમાંથી કાઢીને અન્યત્ર ખસેડી દીધા હતા.
પોલીસ પ્રવક્તા જુકિસી ફટયેલાએ જણાવ્યું કે મંડલા વિરુદ્ધ કબર સાથે ગેરકાયદેસર રીતે છેડછાડ કરવામાં આવી હોવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ફરિયાદી પક્ષ નક્કી કરશે તે તેમની સામે આરોપો ઘડવા કે નહીં.
મંડલા મંડેલા પર આરોપ છે કે તેણે બે વર્ષ પહેલા નેલ્સન મંડેલાના ત્રણ સંતાનોના શબને પારિવારિક કબ્રસ્તાનથી સ્થાનાંતરિત કરી દીધા હતા. બીજી તરફ એક અન્ય ઘટનાક્રમમાં મંડેલા પરિવારના 16 સભ્યો આ શબોને કુનુ ગામના કબ્રસ્તાનમાં પાછા લાવવાની માંગણી કરી રહ્યા છે.
નેલ્સન મંડેલાએ પણ પોતાના મૃત્યુ બાદ તેમને ત્યાં જ દફનાવવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. નેલ્સન મંડેલા હાલ ફેફસાની બિમારીને કારણે પ્રિટોરિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.