કાબુલ બ્લાસ્ટમાં કોઈ ભારતીય જાનહાનિ નહીં, તમામ ભારતીયો સુરક્ષિત
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર ગુરુવારે બે મોટા બોમ્બ વિસ્ફોટમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં તમામ ભારતીયો સુરક્ષિત છે અને કોઈ પણ ભારતીય નાગરિક જાનહાનિના સમાચાર નથી. આ હુમલામાં લગભગ 60 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી : અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર ગુરુવારના રોજ બે મોટા બોમ્બ વિસ્ફોટમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ જે રિપોર્ટ બહાર આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલામાં તમામ ભારતીયો સુરક્ષિત છે અને કોઈ પણ ભારતીય નાગરિક જાનહાનિના સમાચાર નથી.
આ હુમલામાં લગભગ 60 લોકોના મોત થયા છે, જેમાં 13 અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં 120થી વધુ લોકો ઘાયલ થયા છે. ગુરુવારના રોજ આ આતંકવાદી હુમલા પહેલા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિત ઘણા દેશોએ આ હુમલા અંગે ચેતવણી આપી હતી અને પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવા માટે જણાવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ કાબુલમાં થયેલા આ હુમલાની ટીકા કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત કાબુલમાં બોમ્બ વિસ્ફોટની સખત નિંદા કરે છે. અમે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે અમારી ઉંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
આ હુમલાએ ફરી એક વખત વિશ્વ સમક્ષ મૂક્યું છે કે, દુનિયાને આતંકને આશ્રય આપનારાઓ સામે એક થવાની જરૂર છે. આ આતંકવાદી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, અમે હુમલાખોરોને ભૂલીશું કે માફ કરીશું નહીં, અમે તેમને શોધીશું અને તેમને ખતમ કરશું.
કાબુલમાં તાલિબાનના નિયંત્રણ બાદ મોટી સંખ્યામાં લોકો દેશ છોડવા માગે છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પર એકઠા થઈ રહ્યા છે. આ દરમિયાન ગુરુવારના રોજ જે રીતે આતંકવાદી હુમલો થયો તે ડઝનેક લોકોના જીવ લઈ ગયો હતો.
એરપોર્ટ નજીક રાહ જોઈ રહેલા અફઘાન નાગરિકે જણાવ્યું કે, એરપોર્ટની અંદર જવા માટે રાહ જોઈ રહેલા લોકો વચ્ચે અચાનક વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, કેટલાક લોકોના ચીંથડા ઉડી ગયા હતા.
ઘણા દેશોએ પોતાના નાગરિકોને એરપોર્ટની નજીક ન જવાની અપીલ કરી હતી. એરપોર્ટ નજીક ફિદાયીન હુમલાની સંભાવના પણ હતી, પરંતુ આ ચેતવણીના થોડા કલાકો બાદ એરપોર્ટ નજીક વિસ્ફોટ થયો હતો.
ગત અઠવાડિયે પણ કાબુલ એરપોર્ટ પરથી ચોંકાવનારી તસવીરો સામે આવી હતી, જેમાં જોઈ શકાય છે કે, લોકો વિમાનના પૈડા પકડીને પણ દેશ છોડવા તૈયાર થઇ ગયા હતા, પરંતુ આ દરમિયાન ઘણા લોકો વિમાનમાંથી નીચે પટકાયા હતા અને મૃત્યુ પામ્યા હતા.