પરવેઝ મુશર્રફને જાનથી મારી નાખીશું : પાકિસ્તાન તાલિબાન
તાલિબાનના પ્રવક્તા એહસાનુલ્લા એહસાને કોઈ અજ્ઞાત સ્થળેથી ટેલિફોન પર એએફપી સમાચાર સંસ્થાને કહ્યું કે અમે મુશર્રફને ખતમ કરવા માટે આત્મઘાતી બોમ્બરોની એક ખાસ ટૂકડી તૈયાર કરી છે. મુશર્રફ પાકિસ્તાન પાછા ફરશે તે પછી તેઓ એમની પર હુમલો કરશે.
મુશર્રફે શુક્રવારે દુબઈમાં એએફપીને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે પોતે રવિવારે ચોક્કસપણે પાકિસ્તાન પાછા ફરશે અને આવતા મે મહિનામાં પાકિસ્તાનમાં યોજાનારી સંસદીય ચૂંટણી લડશે. ‘એ માટે હું મારા જીવને કોઈ પણ જોખમમાં મૂકવા તૈયાર છું,' એમ તેમણે કહ્યું છે.
એક સવાલના જવાબમાં મુશર્રફે કહ્યું કે, હું રવિવારે પાકિસ્તાન પાછો ફરીશ. 200 ટકા પાછો ફરીશ. હું જમીન માર્ગે કે હવાઈ કે દરિયાઈ, કોઈ પણ માર્ગે જઈશ. એ માટે હું મારી જિંદગીને કોઈ પણ ખતરામાં મૂકી દેવા તૈયાર છું. મેં મારા દેશ માટે આ જ પ્રતિજ્ઞા લીધી હતી.
મુશર્રફ 1999માં પાકિસ્તાનના લશ્કરી વડા હતા ત્યારે રક્તપાતવિહોણા બળવામાં તેમણે પાકિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. પરંતુ 2008ના ઓગસ્ટમાં તેમણે દેશના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આસીફ અલી ઝરદારી નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ઝરદારીનાં પત્ની, ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝિર ભૂટ્ટોની હત્યાના કેસમાં મુશર્રફને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બેનઝીર 2007ની 27 ડિસેંબરે ગોળીબાર તથા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. બ્રિટનમાં લગભગ 8 વર્ષ સુધી સ્વેચ્છાએ દેશવટો ભોગવ્યા બાદ બેનઝિર પોતાની મરજીથી પાકિસ્તાન પાછા ફર્યા હતા.