પાકિસ્તાનને ભારત વિરુદ્ધ UNમાં ફરિયાદ કરી, કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
ઇસ્લામાબાદ, 12 ઓક્ટોબર : પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા માટે ફરી એકવાર યુનાઇટેડ નેશન્સ (યુએન - UN)માં ભારત વિરુદ્ધ ફરિયાદ કરી છે.
આજે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી બાબતો અંગે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે ભારત દ્વારા જમ્મુ-કશ્મીર નજીકની અંકુશ રેખા પર કરાયેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન બદલ યુનાઈટેડ નેશન્સના મહામંત્રી બાન કી-મૂનને સત્તાવાર રીતે લેખિતમાં ફરિયાદ કરી છે.
સરતાજ અઝીઝે પત્રમાં લખ્યું છે કે કશ્મીરનો મામલો યુએનની સુરક્ષા પરિષદે પાસ કરેલા ઠરાવો અંતર્ગત ઉકેલાવો જોઈએ. આ માટે યુએન દ્વારા દરમિયાનગીરી કરવી જોઇએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર છેલ્લા કેટલાક દિવસોથી સતત કરાતો ગોળીબાર, યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં આ યુદ્ધ વિરામ ઉલ્લંઘનો સૌથી વધારે ગંભીર પ્રકારના છે. આ ગોળીબારીને કારણે 17 નાગરિકો માર્યા ગયા છે.