રશિયા-યુક્રેન સંકટ: ભારતમાં પેટ્રોલની કિંમતોમાં ફરીથી ભડકો થશે?
રશિયા-યુક્રેન સંકટ : ભારતમાં પેટ્રોલની કિંમતોમાં ફરીથી ભડકો થશે?
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને પ્રતિ બૅરલ 113 ડૉલર સુધી પહોંચી છે. શું ભારતમાં તેલની કિંમતમાં ભડકો થશે?
ક્રૂડની કિંમતમાં જૂન 2014 પછીનો આ સૌથી મોટો વધારો ભારત માટે ચિંતાજનક છે.
દરરોજ 55 લાખ બૅરલના વપરાશ સાથે ભારત ક્રૂડઑઇલ ઉપભોક્તામાં યુએસ અને ચીન પછી વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે.
જોકે ભારતની તેના 85 ટકા ક્રૂડઑઇલની 40 કરતાં વધુ દેશોમાંથી આયાત કરે છે. મોટા ભાગનો પુરવઠો મધ્ય પૂર્વ અને યુએસમાંથી આવે છે. (ભારત તેના પુરવઠાના માત્ર બે ટકા જ રશિયા પાસેથી આયાત કરે છે.)
ભારત કાચું તેલ આયાત કરે છે જેને તે શુદ્ધીકરણ પછી પેટ્રોલિયમ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરે છે.
ભારતની કુલ નિકાસમાં 13 ટકાથી વધુ હિસ્સો પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસનો છે અને 100 કરતાં વધુ દેશોમાં નિકાસ કરે છે.
દેશમાં દર વર્ષે તેલની માગ 3-4 ટકાના દરે વધી રહી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, "એક દાયકામાં ભારતનો તેલનો વપરાશ 7 મિલિયન બૅરલને પાર કરી જશે. મોટા ભાગનો તેલનો જથ્થો, 30 કરોડ વાહનો તથા પેટ્રોકેમિકલ્સ અને પ્લાસ્ટિક જેવા વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે."
"ભારત 80,000 મેગા વૉટ જેટલી વીજળીનું ઉત્પાદન કરવા માટે ડીઝલનો ઉપયોગ કરે છે. ડીઝલ જનરેટર ઘણા ખાનગી મકાનોને વીજળી પૂરી પાડે છે."
ભારતની કરની આવક પણ તેલ પર નિર્ભર છે. દેશની અંદર ઉત્પાદિત સામાન પરની ફેડરલ ઍક્સાઇઝ ડ્યૂટીમાં તેલનો હિસ્સો 50 ટકાથી વધુ છે. રાજ્યો તેમની આવક વધારવા માટે તેલના ટૅક્સ પર આધાર રાખે છે.
અગ્રણી ઊર્જાનિષ્ણાત નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે, "ભારત તેલ માટેનું સૌથી ગરમ બજાર છે અને મોટી ઊભરતી અર્થવ્યવસ્થાઓમાં એવો બીજો કોઈ દેશ નથી કે જે તેલના ઊંચા ભાવ માટે ભારત કરતાં વધુ સંવેદનશીલ હોય."
- યુક્રેન પર રશિયાના આક્રમણથી વિશ્વમાં ફરી શીતયુદ્ધ શરૂ થશે?
- ભારત યુક્રેન પર આક્રમણના મુદ્દે રશિયાનો વિરોધ કેમ કરતું નથી?
અર્થતંત્ર અને તેલની કિંમત
ભારતની અર્થવ્યવસ્થાની સલામતી તેલ સાથે અતૂટ રીતે જોડાયેલી છે.
સરકારના તાજેતરના આર્થિક સરવેમાં તેલના ભાવ પ્રતિ બૅરલ 70-75 ડૉલરની વચ્ચે રહેશે તેવી ધારણા પર 8-8.5 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે, "ઑઇલના ભાવ પ્રતિ બૅરલ 68-70 ડૉલરથી ઊંચા જાય તો તે આપણા અર્થતંત્ર માટે ખરાબ સમાચાર છે."
માલસામાન, સેવાઓ અને રોકાણની આવકની આયાતનું મૂલ્ય નિકાસ કરતાં વધી જાય ત્યારે તે ભારતની ચાલુ ખાતાની ખાધમાં વધારો કરે છે.
વળી, ફુગાવો પહેલાંથી જ છ ટકાથી ઉપર ગયો છે તેવામાં તે કિંમતો પર વધુ દબાણ લાવે છે.
તેલની ઊંચી કિંમતો પણ વૃદ્ધિને નુકસાન પહોંચાડે છે અને અર્થવ્યવસ્થાને ધીમી પાડે છે કારણ કે લોકોને ઊર્જા પાછળ વધુ નાણાં ખર્ચવા પડે છે અને તેથી અન્ય વસ્તુઓ પર ઓછો ખર્ચ કરે છે. જ્યારે વૃદ્ધિ નબળી પડે ત્યારે સરકારની રાજકોષીય ગણતરીઓ ખોખલી પુરવાર થતી હોય છે.
પહેલાંથી જ લાંબા સમય સુધી મંદીમાંથી પસાર થઈ રહેલી એશિયાની ત્રીજી-સૌથી મોટી અર્થવ્યવસ્થાને મહામારીએ ભારે ફટકો માર્યો છે. તે હજુ પણ સંઘર્ષ કરી રહી છે.
ઑક્ટોબર-ડિસેમ્બર 2021માં ભારતની વૃદ્ધિ ઘટીને 5.4 ટકા થઈ ગઈ હતી. બેરોજગારીનો મુદ્દો વ્યાપક બન્યો છે.
રેટિંગ્સ અને ઍનાલિટિક્સ ફર્મ ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મકીર્તિ જોશીએ જણાવ્યું હતું કે "આખરે તેલના ઊંચા ભાવથી સરકારી સંસાધનોમાં ઘટાડો થાય છે."
જ્યાં સુધી યુદ્ધ ચાલશે ત્યાં સુધી...
https://www.youtube.com/watch?v=FBmrbsKur1U
ઘણા લોકો માને છે કે ભારતમાં 633 અબજ ડૉલરના વિદેશી હૂંડિયામણનો ભંડાર તેલની કિંમતના આંચકાને ખાળવાની સારી તક આપે છે. ઉપરાંત, તેલઉત્પાદક દેશો કિંમતોને નીચે લાવવા અને રાહત આપવા માટે ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા દરિયાકિનારાનાં રાજ્યો પવનઊર્જા જેવા "ઊર્જાના દરેક સ્ત્રોત"નો વિપુલ ઉપયોગ કરી શકે છે.
ભારતમાં ઊર્જાનો માથાદીઠ વપરાશ હજુ પણ વિશ્વમાં સૌથી ઓછો છે.
નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે, "યુક્રેનમાં યુદ્ધ એ આપણી ઊર્જાસુરક્ષાનું વધુ સારી રીતે આયોજન કરવા માટેનો એક વેક-અપ કૉલ છે."
છેલ્લે 2014માં તેલની કિંમતો પ્રતિ બૅરલ 100 ડૉલરને પાર પહોંચી ગઈ હતી ત્યારે ભારતે ઊંચા ફુગાવા સામે લડવું પડ્યું હતું અને ચાલુ ખાતાની ખાધ વધી હતી અને વૃદ્ધિ ધીમી પડી હતી.
ધર્મકીર્તિ જોશી કહે છે કે "આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે અને કિંમતો કેટલી ઊંચી જશે તે આપણે જાણતા નથી. યુદ્ધને લઈને ઘણી અનિશ્ચિતતા છે. અંધારામાં તીર મારવા જેવું છે, તમે ખરેખર જાણતા નથી કે આગળ શું થશે."
https://www.youtube.com/watch?v=sU17Q356GmI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો