સેનેગલમાં 2 બસોની ટક્કરમાં 40 લોકોના મોત, ઘણા ઘાયલ, 3 દિવસનો રાષ્ટ્રીય શોક
સેનેગરમાં મોટા માર્ગ અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે અને 85 લોકો ઘાયલ થઈ ગયા છે.
સેનેગલમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. જ્યાં બે બસોની સામ-સામે ટક્કરમાં 40 લોકોના મોત થઈ ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સેન્ટ્રલ સેનેગલના કેફરીન શહેરમાં બે બસો વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ. આ દૂર્ઘટનામાં 85 લોકો ઘાયલ હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આ દૂર્ઘટના કેવી રીતે બની.
સમાચાર એજન્સી શિન્હુઆએ સેનેગલના સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યુ કે સેનેગલના રાષ્ટ્રપતિ મૈકી સૉલે દૂર્ઘટના બાદ રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. તેમણે પોતાના ટ્વિટર પર કહ્યુ, 'ગ્રીબી(કેફરીન ક્ષેત્ર)માં આજે થયેલી ગંભીર દૂર્ઘટના બાદ, જેમાં 40 લોકોના મોત થઈ ગયા, મે 9 જાન્યુઆરીથી 3 દિવસના રાષ્ટ્રીય શોકનો નિર્ણય કર્યો છે. માર્ગ સુરક્ષા અને સાર્વજનિક યાત્રી પરિવહન પર કડક પગલાં લેવા માટે એક આંતર-મંત્રાલયી પરિષદ એ જ તારીખે એક બેઠક આયોજિત કરશે.' વળી, સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ આ દૂર્ઘટના રવિવારે સવારે કેફરીન શહેર પાસે બની.
ઈમરજન્સી સર્વિસના ઑફિસર શેખ ફૉલે જણાવ્યુ કે 127 લોકો દૂર્ઘટનાના શિકાર બન્યા. આમાં 87 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બધાને ઈલાજ માટે હૉસ્પિટલમાં ભરતી કરામાં આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સેનેગલમાં અવારનવાર દૂર્ઘટના થાય છે. અહીં ખરાબ રસ્તાઓ અને ડ્રાઈવરની બેદરકારીના કારણે દૂર્ઘટનાઓ થાય છે. 2020માં પણ એક બસે નિયંત્રણ ગુમાવીને ટ્રક સાથે ટક્કર કરી હતી. જેમાં 16 લોકોના મોત થઈ ગયા હતા.