શાહબાઝ શરીફ બનશે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી, રાત્રે 8.30 વાગ્યે લેશે શપથ
PML-Nના નેતા શાહબાઝ શરીફને પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઈમરાન ખાનની સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે શાહબાઝ પાકિસ્તાનના પીએમની ખુરશી પર બેસશે. શાહબાઝની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લ
PML-Nના નેતા શાહબાઝ શરીફને પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઈમરાન ખાનની સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે શાહબાઝ પાકિસ્તાનના પીએમની ખુરશી પર બેસશે. શાહબાઝની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને અન્ય પાર્ટીઓએ તેમને નેતા તરીકે ચૂંટ્યા છે. શાહબાઝ શરીફ પાકિસ્તાનની રાજનીતિનો મોટો ચહેરો છે. તેઓ પંજાબના સીએમ રહી ચૂક્યા છે અને તેમના ભાઈ નવાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ પીએમ છે.
બે દિવસ પહેલા (શનિવારે) નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ તેમને વડાપ્રધાન પદ પરથી હટી જવું પડ્યું હતું. જે બાદ આજે નેશનલ એસેમ્બલીમાં નવા પીએમની ચૂંટણીને લઈને મતદાન થયું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા આસિફ અલી ઝરદારીએ વડાપ્રધાન પદ માટે શાહબાઝના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બધાએ સમર્થન આપ્યું હતું. જે બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે વોટિંગનો બહિષ્કાર કરીને વોકઆઉટ કર્યો હતો, જેથી શાહબાઝને ચૂંટવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો.
આજે દેશ માટે નવો દિવસ: શરીફ
વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ શાહબાઝ શરીફે વિધાનસભામાં બોલતા કહ્યું કે, આજે અલ્લાહે પાકિસ્તાન અને તેના 22 કરોડ લોકોને બચાવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો છે અને સરકાર બદલાઈ છે. આજે દેશ માટે મોટો દિવસ છે, લોકો આ દિવસને તહેવારની જેમ ઉજવશે.
ઇમરાનખાનની પાર્ટીના તમામ એમએનએ આપશે રાજીનામુ
વડાપ્રધાન પદ ગુમાવ્યા બાદ અને સરકાર છોડ્યા બાદ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના તમામ MNAએ નેશનલ એસેમ્બલીના સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે કિશબાઝ શરીફના શપથ ગ્રહણ પહેલા જ બધા રાજીનામું આપી દેશે. પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ જણાવ્યું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના તમામ એમએનએ રાજીનામું આપવા જઈ રહ્યા છે.