બલોચ નેતા કરિમા બલોચનો કૅનેડામાં મૃતદેહ મળ્યો
બલૂચિસ્તાનનાં પ્રખ્યાત રાજકીય કાર્યકર્તા અને બલોચ સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશનનાં પૂર્વ અધ્યક્ષ કરીમા બલોચનો મૃતદેહ કૅનેડાના ટૉરન્ટોમાં મળી આવ્યો છે. ટૉરન્ટોનાં પત્રકાર સબા એતઝાઝે બીબીસીને જણાવ્યું કે પોલીસે આ વાતની પુષ્ટિ ક
બલૂચિસ્તાનનાં પ્રખ્યાત રાજકીય કાર્યકર્તા અને બલોચ સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશનનાં પૂર્વ અધ્યક્ષ કરીમા બલોચનો મૃતદેહ કૅનેડાના ટૉરન્ટોમાં મળી આવ્યો છે.
ટૉરન્ટોનાં પત્રકાર સબા એતઝાઝે બીબીસીને જણાવ્યું કે પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. કરીમા બલોચના પરિવાર અને મિત્રોએ જણાવ્યું છે કે તેમનો મૃતદેહ પોલીસ કસ્ટડીમાં છે, જેને તપાસ બાદ સોંપી દેવામાં આવશે. હાલ કરીમા બલોચના મૃત્યુનાં કારણોની ખબર પડી શકી નથી.
બીજી તરફ કરીમા બલોચના મૃત્યુના સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તપાસની માગ ઊઠવા લાગી છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલે પણ દોષિતોને સજા આપવાની માગ કરી છે.
સંસ્થાએ ટ્વિટ કર્યું, "સામાજિક કાર્યકર્તા કરીમા બલોચનું ટૉરન્ટોમાં મૃત્યુ થવું અત્યંત દુ:ખદ વાત છે અને તેની તરત અને પ્રભાવીપણે તપાસ થવી જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ.'
https://twitter.com/LateefJohar/status/1341130419895496714
પોલીસ પ્રમાણે કરીમા બલોચને છેલ્લે રવિવાર (20 ડિસેમ્બર)ના દિવસે દેખાયાં હતાં. ત્યાર બાદ તેઓ ગાયબ થઈ ગયાં હતાં. ટૉરન્ટો પોલીસે કરીમા બલોચના ગાયબ થયા બાદ પોતાની વેબસાઇટ પર તેમની એક તસવીર નાખી હતી અને લોકોને તેમની શોધખોળ માટે મદદ કરવા માટે કહ્યું હતું.
કરીમા બલોચના નિકટના સહયોગી લતીફ જોહર બલોચે એક ટ્વીટ કરીને કરીમા બલૂચના મૃત્યુની પુષ્ટિ કરી છે અને તેમના પરિવાર અને મિત્રો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
https://twitter.com/LateefJohar/status/1341130419895496714
37 વર્ષનાં કરીમા બલોચ કૅનેડામાં એક શરણાર્થી તરીકે રહેતા હતાં. બીબીસીએ તેમને વિશ્વના 100 સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યાં હતાં.
કોણ હતાં કરીમા બલોચ?
કરીમા બલોચ વર્ષ 2005માં બલૂચિસ્તાનના શહેર તુર્બતમાં ત્યારે ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમણે ગાયબ થઈ ચૂકેલા એક નવયુવક શખ્સ ગહરામની તસવીર હાથમાં પકડી હતી. એ શખ્સ તેમનો નિકટનો સંબંધી હતો. તે સમયે અમુક લોકો જ જાણતા હતા કે નકાબ પહેરેલ આ મહિલા કોણ છે.
બીબીસી સંવાદદાતા રિયાઝ સોહેલ પ્રમાણે કરીમા બલોચનાં માતા-પિતા બિનરાજકીય હતાં પરંતુ તેમના કાકા અને મામા બલૂચ રાજકારણમાં ઘણા સક્રિય રહ્યા છે.
જ્યારે બલૂચિસ્તાન સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશન (BSO)ના ત્રણ વર્ગોનો વર્ષ 2006માં વિલય થયો ત્યારે કરીમા બલોચને કેન્દ્રીય સમિતિનાં સભ્ય ચૂંટવામાં આવ્યાં.
BSOના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ઝાકિર મજીદના ગુમ થયા બાદ કરીમાને સંગઠનનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. તેઓ BSOનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં. સંગઠન માટે તે એક મુશ્કેલ સમય હતો જ્યારે તેના નેતા અચાનક ગુમ થઈ રહ્યા હતા, કેટલાક સંતાઈ ગયા હતા તો કેટલાકે રસ્તા બદલી નાખ્યા હતા.
બલૂચિસ્તાનની આઝાદીની માગ કરનારા એક છાત્ર સંગઠન 'BSO આઝાદ' પર પાકિસ્તાનની સરકારે વર્ષ 2013માં પ્રતિબંધ લાદ્યો હતો.
આ પરિસ્થિતિમાં કરીમા બલોચે સંગઠનની સક્રિયતા જાળવી રાખી અને બલૂચિસ્તાનના દુર્ગમ વિસ્તારોમાં સંગઠનની સામગ્રી પહોંચાડવાનું જારી રાખ્યું.
ક્વેટાની સડકો પર સંઘર્ષ
કરિમા બલોચને એવાં પ્રથમ મહિલા નેતા માનવામાં આવે છે જેમણે નવી પરંપરા શરૂ કરી અને વિરોધપ્રદર્શનોને તુર્બતથી ક્વેટા સુધી રસ્તા પર લઈ આવ્યાં. કરીમા બલોચે બીબીસીને અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમનો વિરોધ પરાણે લોકોને ગાયબ કરવા અને રાજ્યની કાર્યવાહીઓ વિરુદ્ધ છે.
વર્ષ 2008માં તુર્બતમાં આવી રીતે એક રેલી દરમિયાન તેમની પર પહેલી વખત આતંકવાદવિરોધી કાયદા હેઠળ આરોપ લગાવવામાં આવ્યા. ત્યાર બાદ તેમને ભાગેડુ જાહેર કરી દેવાયાં. તેમના પર ફ્રન્ટિયર કૉર્પ્સ પાસેથી રાઇફલ છીનવી લેવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો.
કરીમા પ્રમાણે કોર્ટે તેમને સજા સંભળાવતાં કહ્યું હતું કે મહિલા હોવાના કારણે તેમની સજા ઓછી કરવામાં આવે છે. ત્યારે કરીમાએ કહ્યું હતું કે "સજા સમાનતાના આધારે આપવી જોઈએ."
કરીમા બલોચ બલૂચિસ્તાનના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા નવાબ ખૈર બખ્શ મારીના વિચારોથી નિકટ હતાં. તેમણે બલૂચિસ્તાનમાં ગાયબ થનારા લોકો માટે કરાચીમાં વિરોધપ્રદર્શનનું આયોજન પણ કર્યું હતું.
તેમણે કરાચીના પ્રગતિશીલ છાત્રસંગઠનો સથે સંબંધ સ્થાપિત કર્યા અને તેમને બલૂચિસ્તાનની સ્થિતિ વિશે માહિતગાર કરતાં રહ્યાં.
તેમણે તુર્બતથી ગ્રૅજ્યુએશન કર્યું હતું અને બાદમાં બલૂચિસ્તાન વિશ્વવિદ્યાલયથી માસ્ટરના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો પરંતુ રાજકીય પ્રવૃત્તિઓને કારણે પોતાનું ભણતર પૂરું ન કરી શક્યાં.
જ્યારે પાકિસ્તાનમાં પરિસ્થિતિ બગડવા લાગી તો તેઓ કૅનેડા જતાં રહ્યાં અને તેમણે રાજકીય શરણ લીધી.
કૅનેડામાં કરીમા બલોચે રાજકીય કાર્યકર્તા હમાલ સાથે લગ્ન કર્યાં અને માનવાધિકાર કાર્યકર્તા તરીકે કામ કરવા લાગ્યાં. તેમણે જિનીવામાં માનવાધિકાર પર થનારી બેઠકોમાં ભાગ લીધો અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ટ્વિટર અને ફેસબુક પર પોતાના વિચાર મૂક્યા.
બલૂચ નૅશનલ મૂવમેન્ટે કરીમાં બલોચના મૃત્યુ પર 40 દિવસ સુધી શોકની જાહેરાત કરી છે. કરીમા બલોચે ન માત્ર મુશ્કેલ સમયમાં BSOની જવાબદારી સંભાળી પરંતુ સમગ્ર બલૂચ રાષ્ટ્રીય અભિયાનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
કરીમા બલોચે અમુક વર્ષ પહેલાં રક્ષા બંધન નિમિત્તે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મદદ માટે અપીલ પણ કરી હતી.
કરીમાએ કહ્યું હતું કે બલૂચિસ્તાનની બહેનો આપને ભાઈ માને છે. તમારી પાસેથી આશા રાખે છે કે આપ આંતરરાષ્ટ્રીય સ્તર પર બલૂચિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન વિરુદ્ધ અને બલૂચોનો અને પોતાના ભાઈ ગુમાવનારી બહેનોનો અવાજ બનશો.
બલોચ અભિયાન મહિલાઓને જોડ્યાં
બલૂચ રાષ્ટ્રીય અભિયાનથી મહિલાઓને સાથે લાવવામાં પણે તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
કરીમા બલોચને બલૂચ મહિલઓ વચ્ચે રાજકીય અભિયાનના સંસ્થાપક કહેવામાં આવે છે.
તેમનું છાત્રાઓને બલૂચ અભિયાનો અને વિરોધપ્રદર્શનો સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ 70 વર્ષોમાં પહેલી વખત BSOનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં હતાં.
વર્ષ 2014માં પોતાના ભાઈના મૃત્યુ બાદ કરીમા બલોચે બીબીસીને કહ્યું હતું કે તેમને ધમકી અપાઈ રહી હતી કે તેઓ બલૂચિસ્તાનના લોકોના અધિકારો માટે લડવાનું છોડી દે નહીંતર તેમના પરિવારમાં એક પણ પુરુષ જીવિત નહીં રહે.
કરીમાએ કહ્યું, "અમે જાતે આ મુશ્કેલ રસ્તો પસંદ કર્યો છે તેથી હું ખતરાને કારણે પોતાનો સંઘર્ષ નહીં છોડું."
કરીમા બલોચ પહેલાં આ વર્ષે માર્ચમાં વધુ એક બલૂચ શરણાર્થી પત્રકાર સાજિદ હુસૈન પણ સ્વીડનથી ગાયબ થઈ ગયા હતા.
તેમનો મૃતદેહ સ્વીડનના અપસાલા શહેરમાં એક નદીમાં મળી આવ્યો હતો. સાજિદ હુસૈનના સંબંધીઓએ દાવો કર્યો હતો કે તેમની હત્યા થઈ ગઈ છે પરંતુ પોલીસ તપાસમાં તે સાબિત નહોતું થયું.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
બલૂચિસ્તાન નૅશનલ પાર્ટીનાં નેતા સનાઉલ્લાહ બલોચે ટ્વીટ કર્યું, "કરીમા બલોચનું આકસ્મિક મૃત્યુ થવું એક રાષ્ટ્રીય ત્રાસદી કરતાં ઓછું નથી. વિશ્વના સૌથી સુરક્ષિત દેશ કૅનેડામાં એક બલૂચ દીકરીના ગાયબ અને હત્યા થવા સાથે જોડાયેલાં તમામ તથ્ય સામે લાવવાં જોઈએ. અમે પરિવારના આ દુ:ખમાં તેમની સાથે છીએ."
બલૂચ રિપબ્લિકન પાર્ટીના પ્રવક્તા શેરમહંમદ બુગતીએ લખ્યું, "કરીમા બલોચનું આકસ્મિક મૃત્યુ એક આઘાતથી ઓછું નથી. કૅનેડાની સરકારની ફરજ છે કે તેઓ આ ઘટનાની તપાસ કરે અને તથ્યો અંગે તેમના પરિવાર અને બલૂચિસ્તાનને સૂચિત કરે.'
પાશતીન ઇદરીસ નામના એક યુઝરે લખ્યું છે કે, "કરીમા બલોચ, ગાયબ થનાર લોકોનો મજબૂત અવાજ, આપણી સાથે નથી રહ્યાં, આ દુ:ખ વ્યક્ત કરવા માટે શબ્દ નથી.'
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=sUp7NA02hAs
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો